સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ એવી જાહેરાત કરી છે કે કેટલાક કિસ્સામાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઓક્ટોબર કરવામાં આવી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે ખાસ કરીને ઓડિટ રિપોર્ટની જરૂરિયાતવાળા સ્પેશિયલ કિસ્સામાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ એક મહિનો વધારીને ૩૧ ઓક્ટોબર કરાઇ છે.
આ અગાઉ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ હતી, જે હવે સીબીડીટીએ એક મહિનો વધારીને ૩૧ ઓક્ટોબર, ૨૦૧૯ કરી દીધી છે.
સીબીડીટીએ મોડી રાતે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દેશભરમાંથી મળેલ પ્રતિભાવને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ આવા લોકો માટે આઇટીઆર અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બરથી વધારીને ૩૧ ઓક્ટોબર કરી છે.
આ નિર્ણયનો લાભ જેમના એકાઉન્ટ્સનું ઓડિટ થવાનું હજુ બાકી છે તેમને મળશે. સીબીડીટીએ જણાવ્યું હતું કે આ માટે વિધિવત્ નોટિફિકેશન ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં આવશે.
આ આઇટીઆર એ જ લોકો ભરશે, જેમનું એસેસમેન્ટ ઇન્કમટેક્સ એક્ટની કલમ-૪૪ એબી હેઠળ કરવામાં આવે છે, જેમાં કંપનીઓ, પાર્ટનરશિપ કંપનીઓ, પ્રોપ્રાઇટરશિપ વગેરેનો સમાવેશ થાય છે અને જેમણે એકાઉન્ટના ફાઇલિંગ પહેલાં ઓડિટ કરવાની જરૂર હોય છે.
આ અંગે સીએ શ્રીહર્ષ ત્યાગરાજને જણાવ્યું હતું કે આ પ્રકારની કિસ્સામાં આઇટીઆર ફાઇલ કરવાની મુદત લંબાવવાની જરૂર હતી, કારણ કે સીબીડીટી આઇટીઆર ફાઇલ કરવા માટે જરૂરી બેકગ્રાઉન્ડ સોફ્ટવેરમાં વખતોવખત ફેરફાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે આઇટીઆરના છ સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેથી કરદાતાને સમયની જરૂર હતી.