નાના કરદાતાઓને થઇ ગઇ મોટી રાહત, 50 લાખથી ઓછો ટેક્સ ધરાવનાર કરદાતા માટે સીબીડીટીએ કરી મહત્વની જાહેરાત
નાના ટેક્સ પેયર્સ માટે રાહતના સમાચાર
કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય
' 6 વર્ષ જૂની ફાઇલ નહી ખૂલે '
કેન્દ્ર સરકારે બજેટ 2021-22માં ઇન્કમટેક્સ એસેસમેન્ટને ફરીથી ખોલવાના સમયને 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો. જે બાદ ઇન્કમ ટેક્સ વિભાગે 3 વર્ષથી ઉપર ટેક્સ સાથે જોડાયેલા મામલામાં રિ એસેસમેન્ટ માટે નોટિસ આપી દીધી હતી. ત્યારે હવે હવે નાના કરદાતાઓ માટે મોટી રાહત મળી ગઇ છે. સીબીડીટીએ અધિકારીઓને કહ્યું કે 50 લાખથી ઓછા ટેક્સવાળી 6 વર્ષ જૂની ફાઈલો ન ખોલવામાં આવે. આ મુજબ નાણાકીય વર્ષ 2012-13, 2013-14 અને 2014-15 દરમિયાન કોઈપણ કરદાતાનો ટેક્સ 50 લાખથી ઓછો હશે તો તેને રિ-એસેસમેન્ટ નોટિસ મોકલવામાં આવશે નહીં.
આ લોકોને મળશે નોટિસ
જો કે સીબીડીટીનું એમ પણ કહેવું છે કે 2015-16 અને 2016-17 માટે કારણ બતાવો નોટિસ મોકલી શકાય છે. આ માટે 30 દિવસમાં રિએસેસમેન્ટની પ્રક્રિયા શરૂ કરીને તેની જાણકારી કરદાતાને આપવામાં આવે. સીબીડીટીએ ટેક્સ અધિકારીઓને એમ પણ જણાવ્યું કે રિ-એસેસમેન્ટ માટે કરદાતાઓને બે અઠવાડિયાનો સમય આપવામાં આવે. તેમજ જો તેમના તરફથી સમય વધારવાની વિનંતી કરવામાં આવે તો સમય મર્યાદા પણ વધારી શકાશે. મહત્વનું છે કે 2021-22ના બજેટમાં, કેન્દ્ર સરકારે IT એસેસમેન્ટ ફરીથી ખોલવાનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો. જો કે, આ પછી પણ, આવકવેરા વિભાગે ત્રણ વર્ષથી ઉપરના ટેક્સ સંબંધિત તમામ કેસોમાં રિ-એસેસમેન્ટ માટે નોટિસ મોકલી હતી.
નોટિસને પડકારવામાં આવી હતી SC માં
આ નોટિસોને કોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગે આ નોટિસો ચાલુ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આવકવેરા વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે આ પછી હવે આવકવેરા વિભાગે નાના કરદાતાઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.