એલર્જી એ શરીરને તંદુરસ્ત રાખતી ઈમ્યૂન સિસ્ટમને ખોરવી નાખતી પ્રક્રિયા છે. ઘણાં એવા લોકો છે જે કોઇને કોઇ પ્રકારની એલર્જીનો શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓને સામાન્ય રીતે એલર્જિક તરીકે ઓળખવામાં આવે છે. આપણી આસપાસ વાતાવરણમાં રહેલા એલર્જન કે જે ટ્રીગર્સ બનીને આપણા શરીરની એલર્જી સિસ્ટમને ઉત્તેજિત કરે છે. જેના કારણે શ્વાસનળી પર સોજો, નાકમાં સોજો અથવા તો ચામડીના રોગો થાય છે. એલર્જન આપણા શરીરમાં કોઇ પણ રીતે આવી શકે છે. ચાલો જાણીએ આનાથી બચવા શું કરવું.
એલર્જી એક એવી બીમારી છે જે ક્યારેય સાથ છોડતી નથી. પણ એલર્જીનાં કારણોને સમજી મુજબ સાવધાની રાખવામાં આવે તો બીમારી તમને સતાવશે નહીં અને તમે સામાન્ય જીવન જીવી શકશો.
એલર્જીનાં લક્ષણો
નાકમાં ખંજવાળ, નાકમાંથી પાણી વહેવું અથવા નાક બંધ થઇ જવું, ખાંસી થવી, ગળામાં ખંજવાળ આવવી, છીંક આવવી, આંખમાં ખંજવાળ આવવી, આંખમાંથી પાણી વહેવું, ઊંઘ આવવી, ગભરામણ કે બેચેની થવી, માથામાં દુખાવો થવો, કાન બંધ થઇ જવો, ઉબકાં આવવા કે ઊલટી થવી, પેટમાં દુખાવો થવો, નાક અને તેની આસપાસની ત્વચા લાલ થઇ જવી
એલર્જીથી બચવાના ઉપાયો
લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
દરરોજ રાત્રે સૂતી વખતે સરસિયું કે ગાયના ઘીને નવશેકું ગરમ કરીને નાક દ્વારા એક બે ટીપાં લેવાથી શરદી સળેખમ થતાં નથી તેમજ મસ્તિષ્ક સ્વસ્થ રહે છે.
ગરમ દૂધમાં એક બે ગ્રામ વાટેલી સૂંઠ મેળવીને અથવા તુલસીનાં પાનનો 1 ચમચી રસ અને આદુના રસમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે ત્રણવાર લેવાથી શરદીમાં લાભ થાય છે.
શરદીના કારણે થતા માથાના દુખાવામાં, છાતીના દુખાવામાં તથા બેચેનીમાં સૂંઠના ભૂકામાં પાણી નાખીને ગરમ કરી પીડાવાળા સ્થાને આછો લેપ કરવો.
સૂંઠની ગાંગડી નાખી ઉકાળેલું પાણી પીવું. સૂંઠના ચૂર્ણમાં મધ મેળવીને થોડું થોડું રોજ ચાટવું. ભોજનમાં મગ, બાજરી, મેથી અને લસણનો પ્રયોગ કરવો એનાથી શરદી મટે છે.
વરિયાળી અને સાકરનું ચૂર્ણ વારંવાર મોંમાં રાખવાથી ગરમીની ઉધરસ મટે છે.
ગંઠોડા અને સૂંઠનું ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી, ઉધરસમાં લાભ થાય છે.
અજમાની પોટલીથી છાતી પર શેક કરવો જોઇએ. અજમાનો ધુમાડો શ્વાસ દ્વારા અંદર લેવો જોઇએ.