શહેરના એક ખાનગી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગે પટેલના રહસ્યમય મોતને ચાર મહિના થવા આવ્યા તેમ છતાંય હજુ સુધી ક્રાઇમ બ્રાંચ તેનો ભેદ ઉકેલી શકી નથી. ચિરાગ પટેલની હત્યા નહીં પરંતુ તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે પરંતુ તેની આત્મહત્યા પાછળનું કારણ પણ હજુ સુધી અકબંધ છે.
ખાનગી ચેનલમાં કામ કરતા ચિરાગ પટેલનો સળગેલી હાલતમાં મૃતદેહ ૧૭મી માર્ચેના રોજ ઓઢવ કઠવાડા રોડ પરથી મળ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતું કે ૧૬મી માર્ચે સાંજે ચિરાગનું મોત થયું હતું. પોલીસે આ કેસનો ભેદ નહીં ખોલી શકતાં તારીખ ૨૦ માર્ચે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી.
થોડાક સમય પહેલાં ચિરાગ પટેલનું મોત દાઝી જવાથી થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. જેમાં પેટ્રોલ, ડીઝલ અથવા કેરોસીનનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું. ચિરાગ પટેલની બોડી પર કાર્બન પાર્ટિકલ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તેની હત્યા થઇ નથી તેવું માની રહ્યા છે તો તેને આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ચિરાગના અપમૃત્યુ કેસને ચાર મહિના વીતિ ગયા છે પરંતુ ક્રાઇમ બ્રાંચ હજુ સુધી કોઇ તેના મોતના કોઇ ઠોસ પુરાવા એકત્રિત કરી શકી નથી. ચિરાગ પટેલનો મોબાઇલ પણ એક યુવક પાસેથી મળી આવ્યો હતો. તેના ઇન્વસ્ટિગેશનમાં પણ ક્રાઇમ બ્રાંચને જોઇએ તેવી સફળતા મળી નથી. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓનું માનવું છેકે તેણે આત્મહત્યા કરી છે તો ક્યાં કારણોસર તેને આત્મહત્યા કરી તે હજુ સુધી નક્કી થયું નથી.