રાજ્ય સરકારના રખડતા ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધમાં હવે માલધારી સમાજ મેદાને પડ્યો છે, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે CMને રજૂઆત કરી, હવે કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે
પશુ નિયંત્રણ કાયદાને લઈને મહત્વના સમાચાર
ફેરવિચારણાં કરી શકે છે સરકાર
સી.આર.પાટીલ CMને કરશે રજૂઆત
હાલ ગુજરાતમાં ચૂંટણી પહેલા આંદોલનની મોસમ ચાલી રહી છે. એક આંદોલન માંડ થાળે પડે ત્યાં બીજી તૈયાર હોય તેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. હવે રખડતાં ઢોરનું બિલ વિધાનસભામાં પસાર થયું છે જે હવે આગામી સમયમાં અમલમાં પણ આવી જશે. ત્યારે આ બિલના વિરોધમાં માલધારી સમાજના આગેવાનો મેદાને પડ્યા છે અને મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે કે સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરી તેમની જ આગેવાની હેઠળ હવે ગાંધીનગરમાં 5 લાખ જેટલા માલધારીઓ ભેગા કરી સરકારના આ બિલનો પુરજોશથી વિરોધ કરીશું. ત્યારે વિરોધનો વંટોળ જોતાં ભાજપ સંગઠન હવે એક્ટિવ થયું છે.
આજે રખડતા પશુ નિયંત્રણ કાયદાના વિરોધ અને તેની યોગ્ય રજૂઆત કરવા માલધારી સમાજના આગેવાનો સમગ્ર હકીકત અને વ્યવવસ્થાની રજૂઆત સી આર પાટીલ સુધી પહોંચાડી છે ત્યારે આજે ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે સમગ્ર બિલ મામલે મૈ CMને રજૂઆત કરી છે. ત્યારે લાખો માલધારી માટે આ નિવેદન રાહતના સમાચાર વાળું બની શકે કારણ કે સી.આર.પાટીલે CMને રજૂઆત કરવાની ખાતરી આપ્યા બાદ હવે કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે
શું કહ્યું સી આર પાટીલે?
સી આર પાટીલે કહ્યું કે મને પણ લાગે છે કે મહાનગર પાલિકામાં જે ઢોર નિયંત્રણ માટે જે જોગવાઈ છે તે પૂરતી છે. મારી પાસે સમાજના આગેવાનો આવ્યા હતા. વોટ્સએપથી પણ વિનંતી કરી હતી. આજે સાંજે પણ માલધારી સમાજના આગેવાનો અને સાધુ સંતો મળવા આવવાના છે. મૈ મુખ્યમંત્રીને પણ વડોદરા જતી વખતે કહ્યું હતું કે આપણે આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ. જ્યારે કોઈ સમાજ પહેલાથી બનાવેલા કાયદાને અનુસરવા તૈયાર હોય ત્યારે મને તે સમાજની રજૂઆતો યોગ્ય લાગી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સમગ્ર બાબતે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે ત્યારે હવે કાયદામાં ફેર વિચારણા થશે તે નક્કી છે.
ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગ, ગૌહત્યા બંધ કરો: માલધારી સમાજ
બનાસકાંઠાના પાલનપુરમાં માલધારીઓએ ગોચર પાછું આપવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા...તો બીજી તરફ મહેસાણામાં પણ માલધારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગ કરી હતી તથા ગૌહત્યા બંધ કરાવવા માટે પણ માલધારી સમાજે માગ કરી હતી....આ વિરોધમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્યામભાઇ દેસાઇ પણ જોડાયા હતા...આમ વિધાનસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજ સરકાર સામે પડતા રાજ્ય સરકાર ચિંતિત જોવા મળી રહી છે.
સુરતમાં પણ માલધારી સમાજે કલેકટર કચેરીએ એકઠા થઈ વિરોધ કર્યો
રાજ્ય સરકારે વિધાનસભામાં તાજેતરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા પસાર કર્યો છે. જેને લઈને માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે તેના વિરોધમાં હવે માલધારી સમાજ મેદાને પડ્યો છે. જેના ભાગરૂપે સુરતમાં માલધારી સમાજના લોકો દ્વારા કાયદો પરત લેવાની માંગ સાથે સુરત કલેકટર કચેરીએ એકઠા થઈ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં. અને ઢોર નિયંત્રણ કાયદાની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ કલેકટર કચેરીએ માલધારી સમાજ થયો એકઠો થઈ વિરોધ કર્યો
બીજી તરફ અમદાવાદમાં પણ કલેકટર કચેરીએ માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિધાનસભામાં પસાર થયેલા કાયદો રદ કરવા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને રઘુ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે મોટી સંખ્યમાં માલધારી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઢોર નિયંત્રણ બિલમાં શું છે જોગવાઇ
શુક્રવારે વિધાનસભામાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં કરવામાં આવ્યો ઘટાડો
અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે