રખડતાં ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે ગુજરાતભરમાં માલધારી સમાજ રસ્તા પર ઉતરી ગયો છે. સરકાર સમક્ષ વિરોધ કરી કાયદાને રદ્દ કરવાની માગણી કરી રહ્યો છે.
ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન
કાયદો આવવાનો હતો એ વખતે મુખ્યમંત્રી સ્પષ્ટતા કરી હતી
600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે
ઢોર નિયંત્રણ કાયદાને લઈ રાજ્યમાં ઠેર ઠેર માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધ અને રજૂઆતોને પગલે કાયદો રદ થવાની શક્યતાંઓ છે. સરકાર ટુંક સમયમાં કાયદામાં ફેરબદલ કરી શકે છે.
કોઈને નુકસાન કે તકલીફ ન પડે તેનું ધ્યાન રખાશે: જીતુ વાઘાણી
ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન આવ્યું છે. કાયદો આવવાનો હતો એ વખતે મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ કાયદામાં 600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીને માલધારી સમાજના લોકો મળ્યા હતા. માલધારી સમાજના લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે. આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે વાત કરી છે. કોઈને નુકસાન કે તકલીફ ન પડે તેનું કાયદામાં ધ્યાન રખાશે. આવતીકાલે માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી ફરીથી બેઠક કરશે. આ બેઠક બાદ કાયદા અંગે નિર્ણય લેવામાં આવશે.
રખડતાં ઢોર નિયંત્રણ કાયદામાં ફેરબદલની આધિકારિક જાહેરાત થઈ શકે
રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈ ભારે વિરોધને કારણે કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે. ગઈ કાલે સોમવારના રોજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. ત્યારબાદ હવે માલધારી સમાજના આગેવાનોએ સી.આર.પાટીલ સાથે બેઠક કરી છે. માલધારી સમાજના આગેવાનો CM ભૂપેન્દ્ર પટેલ સાથે આજે બેઠક હતી. આવતીકાલે ફરી બેઠક કરી કાયદો રદ્દ કરવા રજૂઆત કરશે. માલધારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ આગામી સત્રમાં બિલ રદ કરવા સી.આર.પાટીલે ખાત્રી આપી છે. મુખ્યમંત્રી કાયદા રદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
પશુ નિયંત્રણ કાયદા અંગે સી.આર.પાટીલે શું આપી ખાતરી ?
ગત રોજ આપેલ નિવેદનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, કાયદા અંગે ફરીથી વિચાર કરીશું. માલધારી સમાજની રજૂઆતો સાંભળી છે. આવનારા સત્રમાં કાયદો પરત લેવાશે. માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
ઢોર નિયંત્રણ બિલમાં શું છે જોગવાઇ
શુક્રવારે વિધાનસભામાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
લાંબી ચર્ચા બાદ દંડની રકમમાં કરવામાં આવ્યો ઘટાડો
અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે
ગુજરાતમાં ક્યાં ક્યાં માલધારી સમાજે કર્યો વિરોધ ?
પશુ બિલ મુદ્દે અનેક શહેરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સોમવારે અમદાવાદ કલેકટર કચેરીએ માલધારી સમાજ એકઠો થયો અને વિધાનસભામાં પસાર થયેલો કાયદો રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને રઘુ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માલધારી સમાજે વિરોધ કર્યો છે. જામનગરમાં પશુ બિલ વિરુદ્ધ માલધારી સંગઠનોએ પ્રદર્શન કર્યું છે. વડોદરામાં ગોપાલકો અને માલધારી સમાજના લોકોએ કલેક્ટર ઓફિસે પહોંચીને બેનર સાથે નારેબાજી કરી. બનાસકાંઠાના પાલનપુરમાં માલધારીઓએ ગોચર પાછું આપવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહેસાણામાં પણ માલધારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગ કરી હતી તથા ગૌહત્યા બંધ કરાવવા માટે પણ માલધારી સમાજે માગ કરી હતી. તો સુરતમાં માલધારી સમાજે કલેકટર કચેરીએ એકઠા થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા.