અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં આગામી સાત દિવસ કેશલેસની સુવિધા નહી મળે. જી, હા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન અને વીમાકંપનીઓની લડાઇ વચ્ચે દર્દીના સ્વજનોએ મુશ્કેલી વેઠવી પડશે. 8 ઑગષ્ટથી 15 ઑગષ્ટ સુધી આહના સાથે જોડાયેલી 300થી વધુ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેશલેસ સુવિધા બંધ રાખવા પાછળ શું છે કારણ ?
વાત જાણે એમ છે કે આહનાના કેટલાક પડતર પ્રશ્નો છે જેની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ આવતો નથી પરિણામે આહનાએ જાહેરક્ષેત્રની વીમાકંપનીઓ સામે મોરચો માંડ્યો છે. આ અંગે આહનાના પ્રમુખે જણાવ્યુ હતું કે કેટલીક સર્જરી માટે કંપનીઓ દ્વારા ફિક્સ ચાર્જ નક્કી કરાયો છે...જેમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવી કો-મોર્બિડિટીને ધ્યાનમાં લેવામાં આવેલી નથી. તેની સાથે જ ચાર્જ ખૂબ જ ઓછા હોવાથી ક્વોલિટી સારવાર આપી શકાતી નથી. લાંબા સમયથી જે હોસ્પિટલોના ચાર્જ રિવાઈઝ ન કરાયા હોય તે હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે દર વર્ષે 6 ટકા વધારી આપવામાં આવે...દર્દીઓને રિએમ્બર્સમેન્ટમાં પડતી તકલીફોનું નિરાકરણ કરવામાં આવે તેમજ વીમા કંપનીઓ જુદા જુદા ચાર્જ હેઠળ પૈસા કાપી લે છે તે અને વીમા પોલિસીમાં સર્જરીનો ચાર્જ વધારવાની આહનાની માગણી છે.
ક્લેઈમ માટે સ્ટાફ દ્વારા બિનજરૂરી સવાલ ઉભા કરીને વીમાના નાણા ચૂકવણીમાં વિલંબ કરવો
હોસ્પિટલોના ક્લેઈમ્સમાં ખોટી રીતે નાણા કાપવા
હોસ્પિટલ એમ્પેન્લમેન્ટમાં પારદર્શક્તાનો અભાવ
ફરિયાદ નિવારણ માટે સિંગલ પોઇન્ટ સંપર્ક જરૂરી
દર્દી- સગાઓને પડશે મુશ્કેલી
આહના અને વીમાકંપનીઓ વચ્ચેની લડાઇમાં દર્દીઓ અને સગાઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સોમવારથી 15 ઑગષ્ટ સુધી કેશલેસ સુવિધા બંધ રહેશે. આહનાના પ્રમુખે જણાવ્યું કે ધી ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, (new india insaurance) નેશનલ ઇન્શ્યોરન્સ, યુનાઇડેટ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ (United india insurance) અને ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા સ્થગિત રખાશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની હોસ્પિટલોમાં રોજના 1500થી 2 હજાર દર્દીઓ કેશલેસની સુવિધાનો લાભ લે છે. આહનાએ કેશલેસની સુવિધા બંધ કરતા આ તમામ દર્દીઓને સમસ્યા થશે...