ગુજરાતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. 2 મેના આંકડા પ્રમાણે જોઇએ તો રાજ્યમાં કોરોના વાયરસના કેસની સ્થિતિ 5 હજારને પાર થઇ ચૂકી છે તો અમદાવાદમાં સ્થિતિ વધારે ગંભીર છે કારણ કે અહીં અત્યાર સુધીમાં 3500થી પણ વધુ કેસ છે ત્યારે હવે ઘટના એવી બની છે કે, જ્યાં કોરોનાનો એકપણ કેસ નહોંતો તે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના વાયરસ પહોંચ્યો છે.
અત્યાર સુધી કોરોનામુક્ત રહેલ દ્વારકા જિલ્લામાં કોરોના ઘુસ્યો
1 એપ્રિલે કેટલાક લોકો રાજસ્થાનથી દ્વારકા પહોંચ્યા
અજમેરથી પરત આવેલા 2 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
આ અંગે પ્રાપ્ત થતી વધુ જાણકારી પ્રમાણે, સૌરાષ્ટ્રના કૃષ્ણભૂમિ તરીકે ઓળખાતા પ્રદેશ દેવભૂમિ દ્વારકા જિલ્લા અત્યાર સુધી ગ્રીન ઝોનમાં આવતો હતો કારણ કે, ત્યાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નહોંતો. ત્યારે આજરોજ એક સાથે 2 કેસ પોઝિટિવ આવતા સ્થાનિક વહીવટી તંત્ર સફાળું દોડતું થયું છે.
એકસાથે 2 કેસ નોંધાતા આરોગ્ય ખાતું થયું દોડતું
દેવભુમિ દ્વારકામાં જે 2 કેસ પોઝિટવ આવ્યા તે બંન્ને રાજસ્થાનથી આવ્યા હોવાની વિગત મળી છે. ત્યારે હવે આ બંન્ને લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા કોરોના વધુ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્ર સામે પણ ઉભા થયાં સવાલ
એક તરફ લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે રાજસ્થાન બોર્ડર પરથી આ બંન્ને લોકો ગુજરાતમાં કોની મંજૂરીથી પ્રવેશ્યા તથા ગુજરાતના 6 જિલ્લાની બોર્ડરમાંથી પસાર કરીને દ્વારકા પહોંચ્યા ત્યારે તેમને કોઇપણ જિલ્લાની પોલીસે અટકાવ્યા પણ નહીં ?
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 હજારને પાર પહોંચી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં નવા 333 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 5054 થઇ છે.