મહેસાણાના કડીના લહોર ગામમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા વરઘોડો કાઢવામાં આવતા વિવાદ થયો હતો. વરઘોડો કાઢવાના મામલે સામાજિક બહિષ્કાર કરવામાં આવતા વિવાદ વધુ વધ્યો હતો, જ્યારે આજે બીજા દિવસે પણ સમાધાનના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા છે.
આજે બીજા દિવસે પણ લહોર ગામ સંપૂર્ણ પણે બંધ રહ્યુ છે. આ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનુ છે કે, મહેસાણાના લહોર ગામમાં દલિત સમાજ દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા મેહુલ પરમાર નામના યુવકના લગ્ન હતા.
લગ્ન મુદ્દે ગ્રામજનોએ ગામમાં વરઘોડો નહીં કાઢવા જણાવ્યું હતું. તેમ છતાં વરઘોડો ગામમાં કાઢવામાં આવતાં ગ્રામજનોએ તાલિબાની ફરમાન જાહેર કર્યાં હતાં. દલિત સમાજ સાથે વ્યવહાર કાપી નાખ્યા હતાં અને જો કોઈ વ્યવહાર કરે તો 5 હજારનો દંડ જાહેર કર્યો. આ મામલે ગામના સરપંચ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ થતા ગામના સરપંચ વિનુજી પ્રહલાદજી ઠાકોરની અટકાયત પણ કરવામાં આવી હતી.