રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન આણંદના ખંભાતમાં પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઇને ખંભાત આખુ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જો કે હાલમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે, આ મામલે પોલીસ દ્વારા આરોપીની પણ અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કુલ 9 આરોપીઓ પોલીસના સકંજામાં
આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારા મામલે પોલીસ એક્શનમાં આવી હતી. 3 મૌલવીઓની અટકાયત સહિત અન્ય 6 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. રેલી દરમિયાન પથ્થરમારો અને જૂથ અથડામણના બનાવો બન્યા હતા. લોહીલૂહાણની સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિ એવી બદ્દતર બની હતી કે પોલીસે ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
2ગુના દાખલ, 9ની ધરપકડ
ખંભાતમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસે અત્યાર સુધી 2 ગુના દાખલ કર્યા છે. રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાત પોલીસે 9 ઇસમોની ધરપકડ કરી છે.આ મામલે LCB અને સ્થાનિક પોલીસ તપાસમાં લાગી ગઇ હતી. હાલતો સ્થિતિ સામાન્ય છે પરંતુ આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. 100થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ઘટનાને અંજામ આપનાર અસામાજિક તત્વોને લઇને પણ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે ડીજે બંધ કરાવવા બાબતે માથાકૂટ થઇ હતી.
ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરાયાઃ DGP
આણંદના ખંભાતમાં તંગદિલી ભર્યા માહોલને લઇને DIG કક્ષાના બે અધિકારીઓ તૈનાત કરાયા છે. તેમજ પથ્થરમારાના બનાવમાં કનૈયાલાલ રાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યુ જે અંગે મર્ડરનો ગુનો નોંધાશે તેમ DGPએ જણાવ્યું હતું, તો બીજી તરફ સ્થિતિ વધુ વણસે નહી તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી તેમ DGPએ વધુમાં ઉમેર્યુ હતું.
ખંભાતમાં સ્થિતિ કેમ વણસી ?
ખંભાતમાં રામનવમી પર્વ પર શોભાયાત્રા નીકળી હતી
સક્કરપુરા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઇ હતી
સક્કરપુરામાં કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો
પોલીસ બંદોબસ્ત વચ્ચે તોફાની તત્વો થયા બેફામ
સક્કરપુરમાં પથ્થરમારામાં એક વ્યક્તિનું થયું હતુ મૃત્યુ
કનૈયાલાલ રાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું ખુલ્યુ
ચગડોળ ગ્રાઉન્ડ નજીક પણ કેટલીક દુકાનોમાં લગાવી આગ
પોલીસે ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો