બેંકમાંથી રોકડ રકમ કાઢવા મામલે સરકાર દ્વારા TDS લગાવવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારથી રાજ્યના લગભગ તમામ માર્કેટયાર્ડ બંધ છે. ત્યારે હવે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.
જામનગર APMCમાં હડતાળ કરવામાં આવી છે. દુકાનો બંધ રાખીને વેપારીઓએ સૌરાષ્ટ્રમાં ચાલી રહેલી હડતાળને સમર્થન આપ્યુ છે. જેમાં અંદાજીત 250 વેપારીઓ જોડાયા છે. જામનગર APMCનું અંદાજીત વાર્ષિક ટર્નઓવર 600 કરોડ છે. બજાર બંધ થતા કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતા છે.
જ્યારે રાજકોટ માર્કેટયાર્ડ બીજા દિવસે પણ બંધ છે. રોકડ પર TDSને લઇ કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં તમામ જણસોની હરાજી બંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ સિવાયના તમામ યાર્ડ બીજા દિવસે પણ બંધ છે. ત્યારે તહેવારોની રજા બાદ પણ યાર્ડ બંધ રહેતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે. એક બાજુ નવા કપાસની આવક અને બીજી બાજુ યાર્ડ બંધ કરાયા છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડનું રોડનું 200થી 250 કરોડનું ટર્નઓવર છે.
ઉત્તર ગુજરાતના પણ લગભગ તમામ માર્કેટ યાર્ડ બંધ
તો આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ લગભગ તમામ માર્કેટ યાર્ડ બંધ છે. સાબરકાંઠાના તમામ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવ્યા છે. વાર્ષિક 1 કરોડના ટ્રાન્જેક્શન પર TDS લાગૂ થતા વેપારીઓ પર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ આજે પણ માર્કેટયાર્ડ બંધ છે અને બુધવારે પણ માર્કેટયાર્ડ બંધ રાખી વિરોધ કરવામાં આવશે.
તો અરવલ્લી અને બનાસકાંઠા માર્કેટિંગ યાર્ડ બંધ કરી દેવાયો છે. બેંકમાંથી રોકડ કાઢવા પર 2 ટકા TDS લાગતા વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ બનાસકાંઠાના તમામ માર્કેટયાર્ડ બંધ કરી દેવાયા છે. થરાદ, લાખણી, દિયોદર, થરા, ભાભર, ધાનેરા માર્કેટયાર્ડ બંધ છે. તો અરવલ્લીની 6 માર્કેટયાર્ડના વેપારીઓ પણ બંધમાં જોડાયા છે. અને આગામી દિવસોમાં હડતાળ ચાલુ રાખવી કે નહીં તે મુદ્દે નિર્ણય લેવામાં આવશે.