રણજીત બિલ્ડકોનને બચાવવા AUDAના અધિકારીઓનું એડીચોટીનુ જોર, તપાસ રિપોર્ટ ન સોંપાયો તો 3 વર્ષ બ્લેક લિસ્ટ કરવાને બદલે 3 મહિના કામ સ્થગિત કરવાનો નિર્ણય લીધો
રણજીત બિલ્ડકોન પર તંત્રની રહેમરાહ
બ્લેકલિસ્ટની જગ્યાએ માત્ર કામ કર્યુ સ્થગિત
AUDAએ દોષનો ટોપલો સરકાર પર ઢોળ્યો
મોટી મોટી બૂમરાળો પાડી કહેવામાં આવે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓની ખેર નથી. પણ અમદાવાદમાં બ્રિજ કન્ટ્રકશનના કાચા કામને લઈ વિવાદમાં રહેતી રણજીત બિલ્ડકોન પર તંત્ર કાર્યવાહી કરવાથી બચી રહ્યું છે. અમદાવાદના બોપલ નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાને મામલે રણજીત બિલ્ડકોનને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી તે રદ્દ કરી દેવાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
તપાસ સમિતિએ અહેવાલ ન આપાત કોન્ટ્રાક્ટરને બ્લેેકલિસ્ટ કરવાનું ટાળ્યું
રણજીત બિલ્ડકોન પર AUDA રહેમરાહ રાખી રહ્યું છે.AUDAના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બચાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે.બોપલ નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવા પર સરકારે તપાસ સમિતિ રચી હતી. પણ કોઈ કારણસર તપાસનો રિપોર્ટ જ ન જાહેર કરવામાં આવતા AUDAના અધિકારીઓએ દોષનો ટોપલો સરકાર પર ઢોળી 3 મહિના માટે રણજીત બિલ્ડકોને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય સ્થગિત કર્યો છે. છેલ્લી ઘડીએ બેઠકમાં નિર્ણય ફેરવી કંપની 3વર્ષ બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ માત્ર 3 મહિના કામ સ્થગિત કરવા નિર્ણય AUDAએ કર્યો છે. આમ દેખીતી રીતે રણજીત બિલ્ડકોનના કાચા કામ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે.
અમદાવાદ : બોપલ નિર્માણધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે રણજીત બિલ્ડકોન પર AUDAની રહેમરાહ, રણજીત બિલ્ડકોનને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત રદ કરી, 3 મહિના કામ સ્થગિત કરવા AUDAનો નિર્ણય, તપાસ સમિતિએ અહેવાલ ન આપતા કોન્ટ્રાક્ટરને ડીબાર કરવાનું ટાળ્યું#Ahmedabad#AUDApic.twitter.com/by4hAUN9Sk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 6, 2022
તપાસ સમિતિમાં કોણ કોણ હતું?
દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત થઈ હતી. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે તેવુ સરકારે સૂચન પણ કર્યું હતું. આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં તપાસ બેઠી હતી. પણ સરકારના આદેશનો અનાદર કરી 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ રિપોર્ટ રજૂ કરાયો નથી.
રણજિત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બોપલ શાંતિપુરા બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી પડ્યો હતો
ગત વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડ પર નિર્માણધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો સનાથલ સર્કલથી બોપલ સુધીના રોડ પર બ્રિજ બની રહ્યો છે.બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા એક ભાગ વચ્ચેથી ધરાશાયી થયો હતો.રણજિત બિલ્ડકોન લિમિટેડને કોન્ટ્રાક્ટ અપાયો હતો.ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અંદાજિત રૂપિયા 90 કરોડના ખર્ચે બ્રિજનું ટેન્ડર અપાયું હતું. બ્રિજ તૂટી જવાની ઘટના બાદ રણજિત બિલ્ડકોન લિમિટેડે પર સરકારે એક્શન પણ લીધા હતા. પણ માત્ર પૂરતી કાર્યવાહી કરી રણજીત બિલડકોનને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે.
મહેસાણામાં પણ બ્રિજ નમી પડ્યો હતો
તો 23 એપ્રિલના રોજ મહેસાણામાં બ્રિજ ફરીવાર ભ્રષ્ટાચારનો શિકાર બન્યો હતો. મહેસાણાના સોનેરીપુરા પાટીયા નજીક રૂપેણ નદી પર આવેલા આ નવનિર્મિત બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી નમી પડ્યો હોવાની ચર્ચા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની કામગીરી રણજિત બિલ્ડકોન કંપની પાસે છે. આ કંપની દ્વારા બ્રિજ બનાવવાનુ કામ કાચુ લોટ જેવુ કરવામાં આવે છે તેમ છતાં આ કંપનીને બ્રિજના ટેન્ડર વારંવાર આપવામાં આવી રહ્વા હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપને જણાવી દઈયે કે, અગાઉ મહેસાણા બાયપાસ હાઈવે પર બનાવેલો ઓવરબ્રિજ પણ ગેરન્ટી પીરીયડમાં જર્જરીત થઈ ગયો હતો.
રણજિત બિલ્ડકોન લિ. કંપની પાસે કરોડો રૂપિયાના કામ..!
આશ્ચર્યની વાત એ છે કે, ઔડા પાસે આ કંપનીનો કોઈ કોન્ટેક્ટ નંબર જ નથી. રણજિત બિલ્ડકોન લિ. કંપનીનું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટના ફેઝ-2નું 417 કરોડનું કામ ચાલુ છે, જેમાં ફેઝ-2માં 6.478 કિમીના મેટ્રો રેલના એલિવેટેડ કોરિડોરનું કામ ચાલુ છે. ઉપરાંત બે કોરિડોરનું પણ કામ સોંપાયું છે, જેમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના પ્રોજેક્ટ તથા જીએનએલયુના સ્ટેશનથી ગિફ્ટ સિટીથી પસાર થતાં 5.42 કિમીના સાઇડ રોડની લાઇનનું કામ છે. રણજિત બિલ્ડકોન પાસે 811 કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 16 બ્રિજનું કામ છે. અમદાવાદ, વડોદરા સહિત દાદરાનગર હવેલી સુધી બ્રિજ બનાવવાનાં કામ ચાલી રહ્યાં છે. સ્લેબ તૂટવાની ઘટના બાદ ઔડાના બ્રિજનું કામ બંધ કરાવાયું છે, પરંતુ આ ઘટનામાં તપાસ અહેવાલ આવે ત્યાં સુધી મેટ્રો-બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બંધ કરવા આદેશ કરાયો નથી.
બ્રિજ બનાવવાની કામગીરી હોંશે હોંશે રણજિત બિલ્ડકોને જ સોંપાય છે..!
આપને જણાવી દઈએ કે, રણજિત બિલ્ડકોન કંપની પાસે વિકાસના અનેક પ્રોજેક્ટો છે.જેમાં બુલેટ ટ્રેન, મેટ્રો એલિવેટેડ કોરિડોર અને અમદાવાદ મ્યુનિ.ના ઓઢવ બ્રિજનો કોન્ટ્રાક્ટ પણ આ જ કંપની પાસે છે.ત્યારે અમદાવાદ અને ઊંઝામાં સામે આવેલી નબળી કામગીરી બાદ સવાલ એ છે કે કેમ આ કંપનીને સરકાર અને તંત્ર બ્રિજ બનાવવાની કામગીરી હોંશે હોંશે સોંપી રહી છે?