પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળને લઈને લેવામાં આવેલા નિર્ણયનો આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ રામધૂન યોજીને વિરોધ કર્યો.
હવેથી મંદિરમાં કોઇ પણ ભક્ત છોલેલું શ્રીફળ લાવી શકશે નહીં
વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ કર્યો વિરોધ
અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદને લઇને વિવાદ માંડ થાળે પડ્યો છે, ત્યારે હવે શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રસાદને લઇનો નવો વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં શ્રીફળ નહીં વધેરવાના ટ્રસ્ટના નિર્ણયનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રામધૂન યોજીને ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. AHP દ્વારા વિરોધ વ્યક્ત કરી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
શ્રીફળ વધેરવાની પરંપરા જારી રહેવી જોઇએઃ ઉમેશ જોશી
આ મુદ્દે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરાના ઉપાધ્યક્ષ ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે, 'કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા દેવામાં આવશે નહીં, સાથે જ આજુબાજુના વેપારીઓને પણ છોલેલું શ્રીફળ ન વેચવાની સૂચના આપવામાં આવી છે. ભક્તો અહીં શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા જારી રહેવી જોઇએ.'
આંદોલનની ઉચ્ચારી ચીમકી
તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, 'જો આગામી દિવસોમાં અમારી માંગણી નહીં સ્વિકારવામાં આવે તો અમે ઘંટનાદ અને ઘરણા કરીશું. અમે 'ચલો પાવાગઢ આંદોલન' કરી લાખો ભક્તો સાથે પાવાગઢ જઇને 101 નાળિયેર વધેરશું.'
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢનું ફરમાન
શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નહીં લઈ જવા તેમજ શ્રીફળ નહીં વધેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે.
છોલેલું શ્રીફળ વેચવા પર પ્રતિબંધ
આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.
વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ
કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આગામી 20 માર્ચથી લાગુ પડશે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.