કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોની પૂરતી કાળજી ન લેવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હી અને બંગાળ સરકારને ફટકાર લગાવી છે.
દિલ્હી અને બંગાળ સરકારે અનાથ બાળકોના ડેટા પૂરા ન પાડ્યાં
સુપ્રીમ કોર્ટે આ બન્ને રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી
કોરોના કાળમાં અનાથ બાળકોના ડેટા રાજ્યોએ સુપ્રીમને આપવાના હતા
પણ દિલ્હી અને બંગાળ સરકારે ડેટા ન આપતા સુપ્રીમ નારાજ
કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોની દેખભાળ સંબંધિત એક કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંગાળ અને દિલ્હી સરકાર અનાથ બાળકોના ડેટા પૂરા પાડ્યાં નથી. આ ડેટાને અનાથ બાળકોની જાણકારી વાળી વેબસાઈટ પર અપલોડ કરવાના છે. બન્ને રાજ્ય સરકારો સુપ્રીમનો આદેશ માની રહી નથી. જ્યારે તમામ રાજ્યોને જાણકારી આપી દેવાઈ છે તો પછી બંગાળ અને દિલ્હીને કઈ વાતનું કન્ફ્યુઝન છે. સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ જણાવ્યું કે કોઈ પણ કારણે બાળકોનું ભવિષ બર્બાદ ન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આ બન્ને રાજ્યોને વહેલી તકે અનાથ બાળકોના ડેટા પૂરા પાડવાનો આદેશ આપ્યો છે.
કેજરીવાલ-મમતાએ અનાથ બાળકોના ડેટા પૂરા ન પાડ્યાં
આ મામલે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડકેરે ટ્વિટ કરીને જણાવ્યું કે દિલ્હી અને બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટે ફટકારી લગાવી કે કોરોના મહામારી દરમિયાન જે બાળકો અનાથ થયા અથવા તો જેમના માતા કે પિતામાંથી કોઈ એકનું મોત થયું હોય તેના જરુરી માહિતી સુપ્રીમને આપી નથી. બાળ સ્વરાજ પોર્ટલ પર પણ તેની જાણકારી નથી. આનાથી મોટો આયનો તમારે શું જોઈએ કેજરીવાલ અને મમતા બેનરજીને.
રાષ્ટ્રીય બાળ આયોગ પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે.
આ બન્ને રાજ્યોની અસંવેદનશીલતાના મુદ્દે રાષ્ટ્રીય બાળ આયોગ પણ નારાજગી જાહેર કરી ચૂક્યું છે. બાળ આયોગના અધ્યક્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કહયું કે આ બન્ને રાજ્યોની કાર્યપ્રણાલી બેજવાબદાર છે.
કોરોના મહામારીમાં 9346 બાળકો અનાથ બન્યાં
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)એ મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 29 મે સુધી રાજ્યો તરફથી પ્રદાન કરવામાં આવેલા ડેટા મુજબ 9346 એવા બાળકો છે જે કોરોના મહામારીના કારણે નિરાધાર અને અનાથ થઈ ગયા છે. અથવા પોતાના માતા પિતામાંથી કોઈ એકને ગુમાવી ચૂક્યા છે. ન્યાયમૂર્તિ એલ એન રાવ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોસની બેચની સામે રજુ કરાયેલા એક અલગ નોટમાં મહારાષ્ટ્ર સરકારે કહ્યુ કે 30 મે સુધી રાજ્યમાં વિભિન્ન વિસ્તારોમાંથી મળેલી જાણકારી અનુસાર 4451 બાળકોએ પોતાના માતા પિતામાંથી એકને ગુમાવી દીધા છે તથા 141 એવા બાળકો છે જેમના માતા પિતા એમ બન્નેના મોત થયા છે.
એનસીપીસીઆરના વકીલ સ્વરુપમા ચતુર્વેદીના માધ્યમથી દાખલ સોગંદનામામાં કહ્યુ કે નિરાધાર થયેલા સૌથી વધારે 2110 બાળકો ઉત્તર પ્રદેશમાં છે. આની સાથે બિહારમાં 1327, કેરળમાં 952 અને મધ્ય પ્રદેશમાં 712 બાળકો મહામારીના કારણે અનાથ થઈ ગયા છે અથવા પોતાના માતા પિતામાંથી કોઈ એકને ગુમાવી ચૂક્યા છે. દેશની સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કહ્યું કે તે 7 જૂન સુધી એનસીપીસીઆરની વેબસાઈટ ‘બાલ સ્વરાજ’ પર ડેટા અપલોડ કરે અને કોરોના વાયરસ સંક્રમણના કારણે અસરગ્રસ્ત થયેલા બાળકો સાથે જોડાયેલા વિતરણને ઉપલબ્ધ કરાવે.