સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ર૦૧૭માં દેશમાં લોક પ્રતિનિધિઓ એટલે કે રાજકારણીઓ સાથે જોડાયેલા કેસોની સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. દેશભરમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રચાયેલી અદાલતો પણ પોતાનું કામ કરી રહી છે.
આ વિશેષ અદાલતોના કારણે જે તે કેસોની સુનાવણીને વેગ મળ્યો છે. જોકે આ અદાલતોથી કેસોના આખરી ચુકાદામાં અગાઉની જેમ જ વિલંબ થઇ રહ્યો છે.કેમ કે વિશેષ અદાલત તેનો ફેંસલો આપે ત્યારે તેને હારનાર પક્ષ હાઇકોર્ટમાં પડકારે છે.
જ્યારે આ જ કેસો અપીલમાં જાય છે, ત્યારે લાંબી રાહ જોવી પડે છે.કેમ કે હાઇકોર્ટમાં આવા કેસોને અન્ય કેસોની જેમ જ ટ્રીટ કરવામાં આવે છે. હાઇકોર્ટ દ્વારા તેને ઝડપથી ચલાવવા પ્રાધાન્ય આપવામાં આવતું નથી.
તેથી નીચલી અદાલતો કેસ ઝડપથી ચલાવીને ચુકાદો આપે તો પણ તેનો કોઇ અર્થ સરતો નથી.કેમ કે પહેલાની જેમ જ કેસોમાં એટલ જ વિલંબ ઉપરી કોર્ટમાં થાય છે. આવા કેસની ઝડપી સુનાવણી હાઇકોર્ટમાં પણ થાય તેવી વ્યવસ્થા ગોઢવાય તો જ વિશેષ અદાલતો સ્થાપવાનો હેતુ બર આવે તેમ છે.
આવી વ્યવસ્થા કરવી હોય, તો ફક્ત સપ્રીમ કોર્ટ જ તે અંગેનો નિર્દેશ આપી શકે છે. કારણ કે કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા આવો હુકમ કરી શકતા નથી. જો ઉપરી અદાલતોમાં કેસનો નિવેડો જલ્દી થાય આ નિર્ણયની અસરકારકતા વધશે.અત્યારે લોકપ્રિતિનિધિઓ પરના કેસો વર્ષો સુધી ચાલે છે.
નીચલી અદાલતોએ સજા ફટકારી હોય તો પણ ઉપરી અદાલતોમાં કેસ પૂરો ન થાય ત્યાં સુધી વર્ષો સુધી જેમની સામે આરોપો છે તેએ જામીન પર બહાર રહે છે. તેથી કોઇપણ ગુનો કરતા લોકપ્રતિનિધિઓને જે ડર લાગતો હોય તે રહેતો નથી. કેસમાં વિલંબ થવાથી પુરાવાઓ સાથે ચેડા કરવાની કે પછી સાક્ષીઓને ફોડવાની પણ તક મળી રહે છે.
સાક્ષીઓ પણ વર્ષોની અદાલતી આંટીઘૂંટીના કારણે કંટાળી જાય છે. ઘણી વાર સત્તા બદલાવાથી કે સત્તાના સમીકરણો બદલવાની પણ કેસ પર સીધી અસર પડે છે.ઘણા દિવસોથી ફરિયાદ છે કે લોક પ્રતિનિધિઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાહિત કેસ દાયકાઓથી પડતર છે. કેસમાં નિવેડો ન આવે ત્યારે તેઓ વારંવાર ચુંટાતા પણ રહે છે.
જે દેશની રાજનીતિ અને વહીવટ માટે યોગ્ય નથી. બીજી તરફ રાજકીય કારણોસર અથવા દ્વેષભાવના કારણે પ્રતિનિધિઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય છે. તેનાથી તે વ્યકિત અને તેમનો પક્ષ પણ બદનામ થાય છે. તેથી જો આવા કેસોની સુનાવણી ટૂંક સમયમાં પૂર્ણ થાય તે ખરેખર નિર્દોષ હોય તેવા જનપ્રતિનિધિઓ માટે પણ આશીર્વાદ સમાન બને છે.
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડની વહેલી સુનાવણી માટે સીબીઆઈની વિનંતીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ર૦૧૭માં ટુ-જી કેસમાં વિશેષ અદાલતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.કે. રાજા સહિતના આરોપીઓને છોડી મુકયા હતા. તે નિર્ણય સામે સીબીઆઈએ હાઈકોર્ટમાં અપીલ કરી છે. દેશની ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની કુલ ૩૯૯ જગ્યાઓ ખાલી છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી હતી કે આ જગ્યાઓ ભરવા સિવાય વધુ મહત્વપૂર્ણ કામ કોઇ હોઇ શકે નહીં. આપણે ત્યાં બીજી સમસ્યા એ પણ છે કે વિવિધ ઉપલી અદાલતોમાં મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ હોવાને કારણે કયા કેસની સુનાવણીને પ્રાધાન્ય આપવું તે નક્કી કરવું ન્યાયાધીશ માટે મુશ્કેલ છે.
સુપ્રીમ કોર્ટે પોતે જ કહ્યું છે કે લોકપ્રતિનિધિઓ સામેના કેસોના તાકીદે સમાધાનથી ભ્રષ્ટાચાર અને રાજકારણના અપરાધિકરણને પહોંચી વળવામાં મદદ મળશે. વિધાનસભાઓમાં આવા પ્રતિનિધિઓની સંખ્યા સમય જતાં વધી રહી છે, જેમની સામે ગુનાહિત અને ભ્રષ્ટાચારના આરોપોના કેસ ચાલી રહ્યા છે.