ખરાબ રોડ રસ્તાને લઇને અમદાવાદ મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. 2 દિવસ પહેલા જ તૈયાર કરેલા રોડના પોપડા ઉખડી જતા પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઇ ગયું.
અમદાવાદ મનપાની રોડ બનાવવામાં ગંભીર બેદરકારી
2 જ દિવસ પહેલા બનાવેલા રોડના પોપડા ઉખડી ગયા
અમદાવાદીઓને સારા રોડ આપવામાં AMC સદંતર નિષ્ફળ
મેટ્રો સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ રોડ-રસ્તાઓ ધોવાઈ જાય છે. રોડ-રસ્તાઓ બેસી જવાના કારણે અનેક જગ્યાએ ભુવાઓ પડવા લાગે છે. શહેરના તમામ વિસ્તારમાં ખાડા અને રોડ તૂટ્યાની ફરિયાદો ઉઠવા પામે છે. ત્યારે અમદાવાદ મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. મનપાએ હજુ તો બે જ દિવસ પહેલા રોડ-રસ્તા તૈયાર કર્યા છે ત્યાં તો રોડના પોપડા ઉખડી ગયા. મહત્વનું છે કે, PM નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે PM મોદીના આગમન પહેલા શહેરમાં તૈયાર કરાયેલા રોડ-રસ્તા આમ બે જ દિવસમાં તૂટી જાય તો તંત્ર ખરેખર પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યું છે એ અહીં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
અહીં દર મહિને નેતાઓ આવવા જોઇએ, તો આ રસ્તા સરખા રહે: સ્થાનિક
AMCએ તૈયાર કરેલા ડામરનો રોડ તૂટી જતા શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોમાંથી એક નાગરિકે તો પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, 'મારું તો એવું કહેવું છે કે, અહીં દર મહિને નેતાઓ આવવા જ જોઇએ. તો આ રસ્તા સરખા રહે, બાકી ના રહે.'
શહેરીજનોને સારા રોડ આપવામાં AMC સદંતર નિષ્ફળ
પાલિકાએ હજુ તો 2 દિવસ પહેલાં જ માનવ મંદિરથી થલતેજ જવાનો રોડ બનાવ્યો હતો. પરંતુ લાગે છે કે AMC સારા રોડ આપવામાં સદંતર નિષ્ફળ દેખાઇ રહ્યું છે. શહેરમાં હજુ પણ એવાં અનેક વિસ્તારો છે કે જ્યાં રોડ-રસ્તા રિપેરિંગ ન થવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે.
2 જ દિવસ પહેલા તૈયાર કરવામાં આવેલા રોડના પોપડા ફરીવાર ઉખડી જતા અમદાવાદમાં ભ્રષ્ટાચારનો આ સ્પષ્ટ બોલતો પુરાવો દેખાઇ રહ્યો છે. પ્રજાના પૈસાનો કઈ રીતે ધુમાડો થાય છે તે અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં AMCએ બનાવેલા નવા રોડના ડામરનું કામ નબળું પુરવાર થયું. કઈ રીતે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થાય છે તે તો AMCનું કામ જોઇને જ ખ્યાલ આવી જાય છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, અમદાવાદના લોકોને સારો રોડ ક્યારે મળશે? આખરે રોડની કામગીરીનો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
સળગતા સવાલ
અમદાવાદના લોકોને સારા રોડ કેમ મળતા નથી?
AMC સત્તાધીશો અને જન-પ્રતિનિધિઓ ક્યારે જાગશે?
ટેક્સ ચૂકવ્યા બાદ પણ લોકોને સારા રોડ કેમ નથી મળતા?
શું સત્તાધીશોને સારો રોડ બનાવવામાં રસ નથી?
2 દિવસ પહેલાં જ બનેલા રોડના પોપળા કેવી રીતે નિકળી શકે?
રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી?
AMC રોડ બનાવવામાં સદંતર નિષ્ફળ કેમ રહે છે?
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ.508.64 કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની લીલીઝંડી આપી દીધી છે. રાજ્યમાં આ વર્ષે વરસાદના કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.
756 કિ.મીના રસ્તાઓ રિસરફેસીંગ કરાશે
રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.
રાજ્યમાં રોડ રસ્તાની હાલત મામલે CM ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાંજ રસ્તાના તાત્કાલિક સમારકામ માટે અધિકારીઑને આદેશ કર્યા હતા. રિપેરિંગ, રિસરફેસીંગ અને માર્ગ નિર્માણના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચન કરવામાં આવ્યું હતું. આ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઑને ડેડલાઇન પણ જાહેર કરી હતી. નવરાત્રી સુધી તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરો તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો. પણ વરસાદી વિધ્નને લીધે કામ સમયસર નહીં થાય તેવું દેખાઈ રહ્યું છે.