ક્રાઇમની ઘટનાઓ રાજ્યમાં છાશવારે બનતી રહે છે. તાજેતરમાં પણ 3 ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં એક અકસ્માતમાં 3 લોકોના મોત થતાં હતા. મામલતદારની ગાડીનો પણ અકસ્માત થયો હતો. જેમાં ચાલક અને મામલતદારનું મોત થયું હતું.
કાર-ટ્રક ધડાકાભેર અથડાતાં આગઃ ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા
ગોંડલના બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે શુક્રવારે રાતે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ત્રણ વ્યકિતઓનાં મોત થયાં હતાં. ટ્રક અને કાર ધડાકાભેર અથડાતાં બંને વાહન ભડભડ સળગી ઊઠ્યાં હતાં. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તરત જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
શુક્રવારે મોડી રાતે ગોંડલના બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કાર સામસામે ભટકાયાં હતાં. આ બંને ધડાકાભેર અથડાતાં બંને વાહનમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં બંને વાહનમાં આગ એટલી ઝડપથી લાગી હતી કે તે થોડા જ સમયમાં ભસ્મીભૂત થઇ ગયાં હતાં. આગ લાગવાના કારણે કારમાં બેઠેલા ત્રણ લોકોને બહાર કાઢી નહીં શકાતાં તેઓ અંદર જ બળીને ભડથું થઇ ગયા હતા, જ્યારે ટ્રકમાં બેઠેલો ડ્રાઇવર નીચે ઊતરવામાં સફળ રહ્યોં હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. ત્યારબાદ પોલીસે ટ્રાફિકને હળવો કર્યો હતો. આ અકસ્માતના અવાજથી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. કારમાં ભડથું થનારા ત્રણ લોકો કોણ હતા તે હજુ સામે આવ્યું નથી. હાલ પોલીસ અને એફએલએલની ટીમ આ અંગે તપાસ કરી રહી છે.
અકસ્માતમાં મામલતદાર-ડ્રાઈવરનું મોત
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં અકસ્માત થયો છે, જેમાં મામલતદાર રાકેશ ડામોરનું મોત થયું છે. મહીસાગરના લુણાવાડાના મામલતદાર સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાજસ્થાન આરટીઓ પાસિંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જવાતાં સમયે તેમનું મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસનો કાફલો રસ્તા પર ઊતરી આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.
મહીસાગરમાં મોડી રાત્રે ખલાસપુર ગામ પાસે લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ટ્રાવેલ્સ સામે અકસ્માત થયો હતો.
લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સામેથી આવતી ખાનગી ટ્રાવેલ્સ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મામલતદાર રાકેશ ડામોર અને ડ્રાઈવર વિજયરાજ પગીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વેપારીનો મોબાઈલ ગઠિયા ઝૂંટવી ગયા
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારના લીલાનગર સ્મશાન પાસેથી વેપારી ચાલતાં ચાલતાં ફોન પર વાત કરતા હતા ત્યારે બાઈક પર આવેલા બે ગઠિયા મોબાઈલ ઝૂંટવી ફરાર થઇ ગયા છે.
ઠક્કરનગર વિસ્તારમાં આવેલ કેવલપાર્કમાં રહેતા ઉમેશ ભદોરિયાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઉમેશ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર નાસ્તાનો સ્ટોલ ધરાવે છે. ગઇ કાલે રાતના નવ વાગ્યાની આસપાસ તે દુકાન બંધ કરીને ઘરે જતા હતા. આ દરમિયાન વેપારી ફોન પર વાત કરતાં જતા હતા. વેપારી ચાલતાં ચાલતાં લીલાનગર સ્મશાન પાસે પહોંચ્યા હતા તે સમયે બાઈક પર બે ગઠિયા આવ્યા હતા, જે પૈકી પાછળ બેઠેલા ગઠિયાએ વેપારીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ ગઠિયા હાઇવે તરફ પલાયન થઈ ગયા હતા.
વેપારીએ આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.