રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે અમદાવાદમાં પણ સતત વધી રહેલા અકસ્માતના કારણે અમદાવાદ પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.
શહેરમાં કાર અને ટુ-વ્હીલર્સ માટે મહત્તમ સ્પીડ નક્કી કરાઈ
શહેર પોલીસે હવેથી વાહનો ચલાવવા માટે એક સ્પીડ નક્કી કરી દીધી છે. એટલે કે હવેથી શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વાહનચાલકો વિરૂદ્ધ શહેર પોલીસ કાર્યવાહી કરશે. શહેરમાં કાર માટે મહત્તમ 70 KM સ્પીડ નક્કી કરાઈ છે. જ્યારે ટુ-વ્હીલર્સ માટે 60 KMની સ્પીડ નક્કી કરાઈ છે. મુખ્ય રસ્તાઓ પર પોલીસ સ્પીડ ગનની મદદથી કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, શહેરના SG અને SP રિંગ રોડ પર સૌથી વધારે અકસ્માત સર્જાય છે. જેનું મૂળ કારણ પણ ઓવરસ્પીડ જ હોય છે. ઓવર સ્પીડના કારણે અકસ્માત થતો હોવાથી અમદાવાદ પોલીસે આ પ્રકારનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઇએ કે, દિવસ રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહેલથી ધમધમતા રહે છે. વિકાસની હરણફાળ ભરતા અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે.
સ્માર્ટ સિટી અમદાવાદના માર્ગો પર અકસ્માતોની સંખ્યા પણ એટલી જ વધી રહીં છે. અમદાવાદ શહેરના માર્ગો પર છેલ્લા 19 મહિનાઓમાં 622 અકસ્માતના કેસો નોંધાયા છે. જેમાં 677 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આંકડો ટ્રાફિક પોલીસના ચોપડે નોંધાયો છે. વર્ષ 2022ના જાન્યુઆરીથી જુલાઇ મહિના સુધીમાં જ અકસ્માતના કુલ 264 કેસ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે જેમાંથી પોલીસે 265 કેસ ફેટલ અકસ્માતના ગણાવ્યા છે. અમદાવાદના એસજી હાઇવે, નરોડા, વિશાલ જંક્શન, નારોલ રોડ પર અકસ્માતોમાં ફેટલ અકસ્માતના કેસો વધી રહ્યાં છે. ત્યારે શહેર ટ્રાફિક વિભાગ આવા વિસ્તારોના હોટ સ્પોટ અંગે સ્ટડી કરાવી રહ્યો છે.
માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બનતા રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો
વધુમાં જૂન માસમાં 39 અકસ્માત થયા હતા. જેમાં 40 લોકોના મોત થયા છે. તેમજ જુલાઈમાં અકસ્માતના 41 બનાવમાં 41 લોકો મોતને ભેટયા છે. અકસ્માતો પાછળ ઓવર સ્પીડ મુખ્યકારણ હોવાનું સામે આવી રહ્યું છે. માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો વધુ બની રહ્યાં છે. ઓવરસ્પીડિંગના બનાવો પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહી છે.