આવતીકાલથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. મેચ અગાઉ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી20 સીરિઝ
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે કરી પ્રેસ કોન્ફરન્સ
ટીમનો પ્લાન અને વિરાટ કોહલી વિષે કરી ચર્ચા
IND vs NZ T20 series
ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડ ( Rahul Dravid ) અને ટી-20 ફોર્મેટના કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાને લઈને પોતાનો પ્લાન જણાવ્યો હતો. સાથે તેમણે વર્કલોડ મેનેજમેન્ટ અને વિરાટ તથા રોહિતના બોંડિંગ પર વાત કરી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારથી ટી-ટ્વેન્ટી સીરિઝ શરૂ થવા જઇ રહી છે. ટીમ ઈન્ડીયા આ વખતે નવા કેપ્ટન અને નવા જ કોચ સાથે મેદાનમાં ઉતરવા જઇ રહી છે. કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે મંગળવારે પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. સાથે ટી-20 ફોર્મેટના કેપ્ટન રોહિત શર્મા પણ દેખાયા હતા.
વિરાટ અને રોહિત સાથે વાત કરી છે...
રાહુલે કહ્યું હતું કે હજુ સુધી ખેલાડીઓ સાથે થોડી જ વાત થઈ શકી છે. કારણ કે કોઈને વર્લ્ડકપમાં ડિસ્ટર્બ કરવા તેઓ નહોતા માંગતા. જો કે વિરાટ અને રોહિત સાથે વાત થઈ અને હવે તેઓ અહીંથી તમામ બાબતોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે તથા આ હજુ શરૂઆત છે.
ખેલાડીઓના વર્કલોડનું ધ્યાન રાખશે
ખેલાડીઓના વર્કલોડ પર દ્રવિડે કહ્યું હતું કે વર્કફ્લો મેનેજમેન્ટ એ એક મહત્વનો ભાગ છે. અમારે વર્કલોડ મેનેજ કરવો પડશે. ફૂટબોલ ખેલાડીઓને પણ વર્કલોડ મેનેજમેન્ટની જરૂર હોય છે. અમારે ટીમને બેલેન્સ કરવી પડશે. સાથે જ મોટી ટૂર્નામેન્ટમાં પણ ધ્યાન રાખવું પડશે, જ્યારે રોહિતે કહ્યું- થોડો સમય આરામ લેવો પણ જરૂરી છે. ખેલાડીઓ લાંબા સમયથી રમી રહ્યા છે, તેથી આરામ કરવો જરૂરી છે.
નિર્ભય બનવાની જરૂર છે
રોહિતે કહ્યું કે અમે અમારા ખેલાડીઓને નિર્ભયતાથી રમવા માટે કહીશું. તેણે કહ્યું- T20 ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ખેલાડી કોઈ પણ વસ્તુથી ડરવો ન જોઈએ. તેણે મેદાનમાં જઈને નિર્ભયતાથી રમવું જોઈએ. જો તે સફળ થાય તો કોઈ સમસ્યા નથી. આમાં મારી અને કોચની ભૂમિકા મહત્વપૂર્ણ છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ અમારા પર વિશ્વાસ રાખે. અમારે તેને કહેવાની જરૂર છે કે તે આ ટીમમાં સુરક્ષિત છે.
કોઈને અનુસરવાની જરૂર નથી
કિવી કેપ્ટન વિલિયમસન ટી-20 સિરીઝ નહીં રમી શકે તે અંગે રોહિતે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમને ચોક્કસપણે વિલિયમસનની ખોટ પડશે. સાથે તેણે કહ્યું હતું કે અમારે અન્ય કોઈ ટીમને અનુસરવાની જરૂર નથી. આપણે આપણી ટીમ જાતે જ સુધારવી પડશે. અમારા માટે આ સૌથી મોટો પડકાર છે. અમારે બીજા કોઈ પર ધ્યાન આપવાની જરૂર નથી. જે અમારા માટે યોગ્ય છે અમે તે જ કરીશું
દરેક ફોર્મેટ માટે અલગ ટીમ?
અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ ટીમો અંગે દ્રવિડે કહ્યું- અમે અત્યારે એવી સ્થિતિમાં નથી કે દરેક ફોર્મેટ માટે અલગ-અલગ ટીમ હોય. અમારે હાલમાં ખેલાડીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. હું ઈચ્છું છું કે અમારા ખેલાડીઓ સ્વસ્થ રહે. હું તેના પર કામ કરવા માંગુ છું અને તેમને ખાતરી આપું છું કે દરેકને આરામ મળશે.
અમારી પાસે એવા ઘણા ખેલાડીઓ નથી જે તમામ ફોર્મેટ રમે. આવી સ્થિતિમાં તેઓની પાસે પોતાને સાબિત કરવાની તક છે. અત્યારે હું દરેક ફોર્મેટ માટે અલગ-અલગ ટીમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી.