ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પહેલી વાર ન્યૂઝીલેન્ડની ધરતી પર ટી-20 શ્રેણી જીતી લીધી છે. ભારતે સતત ત્રણ મેચમાં જીત હાંસલ કરીને શ્રેણી પોતાના નામે હાંસલ કરી છે, પરંતુ હવે વિરાટ કોહલી ટીમમાં ફેરફાર ઇચ્છે છે. શ્રેણીની ચોથી મેચ આવતી કાલે ભારતીય સમય અનુસાર બપોરે 12.30થી વેલિંગ્ટનમાં રમાશે.
નવદીપ સૈની પર કેપ્ટન કોહલીએ આપ્યું નિવેદન
ઋષભ પંત, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને નવદીપ સૈનીને હજુ સુધી નથી મળી તક
ટીમ ઇન્ડિયામાં થશે મોટા ફેરફાર
ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવરની મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ''અમે શ્રેણી જીતી લીધીછે. હવે અન્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાશે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈની જેવા ખેલાડી બહાર બેઠેલા છે, જેઓ ઓછામાં ઓછી એક તક ડીઝર્વ કર છે.'' વિરાટના આ નિવેદનથી નક્કી છે કે આવતી કાલે વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયા કેટલાક ફેરફાર સાથે મેદાનમાં ઊતરશે.
ઘણા ખેલાડીઓને હજુ સુધી નથી મળી તક
અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં ભારત એક પણ ફેરફાર વિના મેદાનમાં ઊતરી. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત, સંજુ સેમસન, ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ આ શ્રેણીમાં હજુ સુધી તક મળી નથી. હવે કોહલી ઇચ્છે છે કે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ બે ટી-૨૦ મેચમાં આ ખેલાડીઓને વારાફરતી અંતિમ ઈલેવનમાં સ્થાન મળે.
વેલિંગ્ટનમાં ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ
આવતી કાલે શ્રેણીની ચોથી મેચ જ્યાં રમાવાની છે એ વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ઘણો ખરાબ છે. બેશક હાલમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. વેલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં એક પણ જીત હાંસલ કરી શકી છે. પહેલી વાર અહીં આ બંને ટીમ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ ટી-૨૦ મેચ રમી હતી. ત્યાર બાદ બંને ટીમ અહીં ૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ટી-૨૦ મેચ રમી હતી. એ બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો. આ વખતે વિરાટ પાસે વેલિંગ્ટનનો રેકોર્ડ બદલવાની તક છે. સામા પક્ષે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની આબરૂ બચાવવા મરણિયો પ્રયાસ કરશે એ નક્કી છે.