જમ્મુ-કાશ્મીરમાંથી હવે ધારા-370 સમાપ્ત કરી દેવામાં આવી છે. એ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો દરજ્જો પણ હવે ખતમ થઈ ગયો છે. હવે દેશના કોઈ પણ નાગરિકો જમ્મુ-કાશ્મીરમાં જમીનનું ખરીદ વેચાણ કરી શકશે. એવું કહેવામાં આવે છે કે, સરકારના આ પગલાંથી જમ્મુ-કાશ્મીરમાં જમીનના ખરીદ વેચાણમાં તેજી આવશે. પરંતુ હજુ પણ દેશના અનેક રાજ્યો અને વિસ્તારો એવા છે જ્યાં બીજા રાજ્યના લોકો જમીન ખરીદી શકતા નથી. આવો જાણીએ કે છે એ કયા રાજ્યો કે જ્યાં તમે ઈચ્છો તો પણ નહીં ખરીદી શકો જમીન જોઈએ આ રિપોર્ટમાં.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી દેવામાં આવ્યા બાદ દેશમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કાશ્મીરમાં હવે જમીનના ભાવમાં તેજી આવશે અને અને લોકો સરળતાથી જમીન ખરીદી શકશે.. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, કાશ્મીરમાં 370 કલમ હટયા બાદ ભલે જમીન ખરીદવાનો માર્ગ મોકળો થઈ ગયો હોય પરંતુ દેશમાં હજુ પણ અનેક વિસ્તારો છે જ્યાં બીજા રાજ્યના લોકો ઈચ્છે તો પણ જમીન ખરીદી શકતા નથી.
આ રાજ્યોમાં નહીં ખરીદી શકો જમીનઃ
નાગાલેન્ડમાં બીજા રાજ્યના લોકો જમીન ખરીદી શકતા નથી. કલમ-371 એ પ્રમાણે નાગાલેન્ડના મૂળ નાગરિકને જ ત્યાં જમીન ખરીદવાનો હક છે. આદિવાસીઓના હકોને સુરક્ષિત રાખવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે. સિક્કિમમાં પણ આ પ્રકારનો કાયદો છે. સિક્કિમ સૌથી છેલ્લે 1975માં ભારતમાં સામેલ થયું. કલમ 371 - એફ મુજબ અહીં જમીન પર રાજ્ય સરકારનો હક છે. સિક્કિમના ભારતમાં વિલય થયા પહેલાંની ખાનગી માલિકીની જમીન પર પણ હવે સરકારનો જ હક છે.
તો મિઝોરમની વાત કરીએ તો મિઝોરમમાં પણ રાજ્ય બહારના લોકો જમીન ખરીદી શકતા નથી. મિઝોરમના આદિવાસી નાગરિકો જ જમીનના માલિક બની શકે છે. હવે રાજ્ય સરકાર ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન આપવા મિઝોરમ ભૂમિ અધિગ્રહણ એક્ટ-2016 લાવી છે. આ કાયદા હેઠળ રાજ્ય સરકાર જ ભૂમિ અધિગ્રહણ કરી શકે છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ રાજ્ય બહારના લોકો પર જમીન ખરીદવા પ્રતિબંધ છે.
ભૂ-રાજસ્વ અધિનિયમ 1972 મુજબ હિમાચલ બહારના નાગરિકો કે બિન ખેડૂત લોકો જમીન ખરીદી શકતા નથી. જો કે, બિન ખેડૂત લોકોને આવાસ હેતુ માટે સરકાર જમીન આપે છે. પરંતુ તે માટે એક લાંબી વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. થોડા સમય પહેલા સરકારે હિમાચલ બહારના અધિકારીઓ અને કર્મચારીઓના સંતાનોને જમીન ખરીદવાની અનુમતી આપી હતી. પરંતુ સ્થાનિક લોકો નારાજ થતાં અને વિવાદ વધતા સરકારે જમીન પરત લઈ લીધી હતી. તો ઉત્તરાખંડમાં પણ રાજ્ય બહારના લોકો પર જમીન ખરીદવા પ્રતિબંધ છે. ઉત્તરાખંડ જમીનદારી ઉન્મૂલન અધિનિયમ 154 મુજબ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જમીન ખરીદવા મામલે કેમ પ્રતિબંધઃ
દેશમાં રાજ્ય બહારના લોકોને જમીન ખરીદવા પર પ્રતિબંધ માત્ર પૂર્વોત્તર રાજ્યો પૂરતો નથી. દેશના દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ રાજ્ય બહારના લોકો પર જમીન ખરીદવા પર પ્રતિબંધ છે. તમિલનાડુમાં ખેતીલાયક જમીનના રક્ષણ માટે તેના વેચાણ પર પ્રતિબંધ છે. તમિલનાડુમાં 59.95 એકર કરતાં વધારે જમીન ખરીદી શકાતી નથી. ખેતી લાયક જમીનનને બિન ખેતીમાં બદલવા માટે ડી.સી.નો હુકમ મેળવવો પડે છે.
ખેતીની જમીન એન.એ. કરવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે, તે જમીન પર છેલ્લાં દસ વર્ષથી ખેતી થઈ શકતી ન હતી. તો કર્ણાટકમાં ફક્ત ખેડૂતો જ જમીન ખરીદી શકે છે. કર્ણાટકમાં લેન્ડ રેવન્યૂ એક્ટ 1964 મુજબ ઔધોગિક સંગઠનો જમીન ખરીદી શકે છે. તો મહારાષ્ટ્રમાં પણ ખેડૂત જ ખેતી લાયક જમીન ખરીદી શકે છે. જો કે અહીં ખેડૂત 54 એકર કરતાં વધારે જમીન રાખી શકતો નથી. તો કેરલની સ્થિતિ જૂદી છે અહીં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે. જો કે, કેરળમાં જમીન ટોચ મર્યાદા રાખવામાં આવી છે. કેરલ લેન્ડ રિફોર્મ એક્ટ 1963 પ્રમાણે એક પુખ્ત વ્યક્તિ 5 એકર જમીન રાખી શકે છે. 5 સભ્યનો એક પરિવાર 10 એકર સુધી જમીન રાખી શકે છે. પરંતુ અહીં કોઈ પણ પરિવાર 20 એકરથી વધારે જમીન રાખી શકતો નથી.
ટૂંકમાં આજ સુધી લોકોમાં એક એવી માન્યતા હતી કે માત્ર કાશ્મીરમાં રાજ્ય બહારની વ્યક્તિ જમીન ખરીદી શકતી નથી. પરંતુ આ જાણકારી બાદ એ ખ્યાલ આવી જશે કે કાશ્મીરમાં ભલે સ્થિતિ બદલાય અને લોકો માટે જમીન ખરીદીનો માર્ગ મોકળો બને પરંતુ દેશના આવા અનેક રાજ્યોમાં રાજ્ય બહારની વ્યક્તિ ખેતી કે આવાસ માટે જમીન ખરીદી શકતી નથી તે પણ એક હકીકત છે.