વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસીની બેઠક પરથી વિજય નિશ્ચિત છે, એ હકીકતનો સ્વીકાર કર્યા પછી પણ તેમની સામેના પ્રતિસ્પર્ધી ઉમેદવારો કોણ છે એ જાણવાની ઉત્સુકતા તો રહે જ છે. ર૦૧૪ની ગઇ ચૂંટણીમાં મોદી વારાણસી માટે નવા હતા ત્યારે પણ ભારે સરસાઇથી ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે તો વારાણસીમાં તેમનું કામ બોલે છે અને વારાણસીના મતદારો આ વખતે દેશના વડા પ્રધાનને ચૂંટીને મોકલવાના ઉત્સાહમાં હોવાનું સ્પષ્ટ જણાય છે.
ગત ચૂંટણીમાં મોદી સામે મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડયા હતા અને ખરાબ રીતે હાર્યા હતા. કોંગ્રેસે પણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પરંતુ તેમના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી હતી, એ જ અજય રાયને કોંગ્રેસે આ વખતે ફરી વારાણસીમાં મોદી સામે ઊભા રાખ્યા છે. કોંગ્રેસે થોડો સમય પ્રિયંકા ગાંધીનું નામ ઉછાળ્યું હતું, પરંતુ પરાજયના ડરથી કે ગમે તેમ, આખરે એ વાત ટાળી દેવામાં આવી. વાસ્તવમાં એ તુક્કો જ હતો. પ્રિયંકા આ વખતે ચૂંટણી નહીં લડે એ પહેલેથી જ નિશ્ચિત હતું, પરંતુ કોંગ્રેસ અજય રાયને બદલે કોઇ અન્ય મજબૂત ઉમેદવારને ઊભા રાખી શકી હોત. એવું કેમ થયું નહીં એવો સવાલ થાય, પરંતુ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ત્રીજા નંબરે ધકેલાઇ ગયેલી કોંગ્રેસ માટે આમ પણ ઉમેદવારો શોધવાનું મુશ્કેલ હોય છે. એ સ્થિતિમાં અજય રાય જેવા ઉમેદવારથી કામ ચલાવવાનો વિચાર ખોટો નથી.
જાણીને નવાઇ લાગે એવી વાત એ છે કે આ અજય રાય મૂળભૂત રીતે ભાજપના કુળની વ્યકિત છે. કદાચ એટલે જ કોંગ્રેસ તેમને મોદી સામે ખડા કરી દે છે. આ અજય રાય જ્યારે મહાત્મા ગાંધી કાશી વિદ્યાલયમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં જોડાયા હતા. વિદ્યાર્થી સંઘના રાજકારણથી શરૂઆત કરીને છાત્ર નેતા બની ગયેલા અજય રાયને ૧૯૯૬માં ભાજપે કોલઅસલા વિધાનસભાની બેઠક પરથી ટિકિટ આપી હતી. આ બેઠક પર સાત વખત વિજયી બનેલા સામ્યવાદી ઉદલને હરાવીને તેઓ ચૂંટાઇ આવ્યા એટલે એ વિજય ઐતિહાસિક ગણાયો હતો.
તેને કારણે તેમને રાજ્યમાં ખ્યાતિ પણ ઘણી મળી. એ પછી ર૦૦ર અને ર૦૦૭માં પણ તેઓ જીત્યા અને હેટ્રિક કરી. એ પછી તેમની મહત્ત્વાકાંક્ષી ર૦૦૯માં લોકસભાની ચૂંટણી લડવાની હતી, પરંતુ ભાજપે ત્યારે આ બેઠક પરથી પક્ષના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ઉમેદવાર બનાવ્યા હતા. આ બાબતને તેમણે સ્વમાનનો મુદ્દો બનાવ્યો. તેઓ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા અને. લોકસભાની ચૂંટણી લડયા અને હાર્યા. એ પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ર૦૧૪માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોદી સામે ચૂંટણી લડયા અને ડિપોઝિટ ગુમાવી. હવે ફરી ર૦૧૯માં મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વારાણસીમાં ચર્ચા એટલી જ છે કે આ વખતે તેમની ડિપોઝિટ બચશે કે ફરી...?
નરેન્દ્ર મોદી સામેના બીજા મહત્ત્વના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સમાજવાદી પાર્ટીના શાલિની યાદવ છે. તેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા કોંગ્રેસી નેતા શ્યામલાલ યાદવનાં પરિવારના કુળવધૂ છે. તેઓ ફેશન ડિઝાઇનિંગની કરિયર છોડીને રાજકારણમાં આવ્યાં છે. તેમના પતિ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના મંત્રીપદે રહી ચૂકયા છે અને યાદવ મહાસભાના મહામંત્રી છે. શાલિની વારાણસીના મેયરપદની ચૂંટણી ર૦૧૭માં લડી ચૂકયાં છે. મતલબ હમણાં સુધી કોંગ્રેસમાં રહેલાં શાલિનીએ એકાએક કોંગ્રેસ કેમ છોડી?
વેલ, અહીં પણ સ્વમાન અને સ્વાભિમાન જ કારણભૂત છે. પ્રિયંકા ગાંધી વાડરાએ મીરજાપુરથી વારાણસી સુધીની ગંગાયાત્રા કરી ત્યારે તેમણે શાલિનીને કોઇ મહત્ત્વ ન આપ્યું અને તેના બદલે અપનાદલ (કૃષ્ણા પટેલ જૂથ)ના પલ્લવી પટેલને પ્રોત્સાહન આપ્યું. કોંગ્રેસ સાથે જોડાયેલા જૂના પરિવારની પ્રતિનિધિ હોવાને નાતે પોતાની ઉપેક્ષા કરીને બીજાને મહત્ત્વ આપવાની બાબતે તેને ભારે આઘાત પહોંચાડયો. પ્રિયંકા સાથે મંચ પર પણ તેમને સ્થાન અપાયું નહીં.
એ વાત તેને એટલી આઘાતજનક લાગી કે એ જ દિવસે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એ જ દિવસે સમાજવાદી પાર્ટીનું સભ્યપદ મેળવી લીધું. અખિલેશ યાદવે તેમને મોદી સામે પક્ષના ઉમેદવાર બનાવીને સૌને ચોંકાવી દીધા. આજે હવે મોદી સામે ચૂંટણી જંગ લડતાં શાલિની યાદવ કહે છે કે જો કોંગ્રેસે પ્રિયંકાને મેદાનમાં ઉતારી હોત તો ચૂંટણી લડવાની ઓર મજા આવત. આમ, વારાણસીનો ચૂંટણી જંગ ત્રિપાંખિયો છે પણ મોદીના પ્રતિસ્પર્ધી આ બે ઉમેદવારોની સ્થિતિ અને સંજોગોએ ચૂંટણીને રસપ્રદ બનાવી છે. એક પ્રકારે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી પણ (ગઇ કાલના) કોંગ્રેસી જ છે.•