પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે તમામ EVMને સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાવનગરમાં સ્ટ્રોંગ રૂમ નજીક 'નમો' નામનું વાઇફાઇ ઓપન થતાં ઉમેદવારો દોડતા થયા હતા. જોકે, કલેક્ટરે તમામને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.
ભાવનગરમા રાત્રે ઉમેદવારો સ્ટ્રોંગ રૂમ ખાતે દોડી ગયા
સ્ટ્રોંગ રૂમ નજીક વાઇફાઇ ઓપન થતાં ઉમેદવારો સ્થળે દોડી ગયા
કોંગ્રેસે EVMની સલામતી પર ઉઠાવ્યા સવાલ
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા મજબૂત છેઃ કલેક્ટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ભાવનગરમાં EVMની સલામતી સામે સવાલ ઉઠ્યા છે.
ભાવનગરમા રાત્રે ઉમેદવારો સ્ટ્રોંગ રૂમ દોડી ગયા
ગઈકાલે મોડી રાત્રે બીપીટીઆઈ કોલેજ પાસે 'નમો' નામનું વાઇફાઇ ઓપન થતા રાજકીય પક્ષના કાર્યકરોનો જમેલો જામ્યો હતો. સ્ટ્રોંગરૂમને મારેલા તાળા ખુલી જવાની ઉમેદવારોને ભીતિ દેખાતા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો અધિકારીઓ સાથે સ્ટ્રોંગ રૂમ પાસે ચકાસણી માટે ગયા હતા. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમના તાળાને સીલ નહીં માર્યુ હોવાથી લોક ખુલી જવાનો પણ ઉમેદવારોએ શંકા ઉપજાવતા મોડી સાંજે અફવાનું બજાર પણ ગરમ થયું હતું.
સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવુંઃ કલેક્ટર
જે બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે પારેખે જણાવ્યું હતું કે, બીપીટીઆઈ કોલેજ ખાતે રાખવામાં આવેલા EVM અને વીવીપેટ સહી સલામત છે. સ્ટ્રોંગ રૂમની સિક્યુરિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી. સ્ટ્રોંગ રૂમ 24 કલાક સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે. સીસીટીવી ફૂટેજ ઉમેદવારો અને તેમના માન્ય પ્રતિનિધિ કંટ્રોલ રૂમમાં બેસી જોઈ શકે છે. આ સાથે જ તેમણે દરેકને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક પર 60.83 ટકા મતદાન
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક પર ગુરૂવારે ચૂંટણી યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠક ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, મહુવા, પાલિતાણા અને ગારીયાધાર પર સરેરાશ 60.83 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી તંત્રએ જણાવ્યું છે.