કોંગ્રેસની છબીને બગાડવા થયો પ્રયાસ : અજીતસિંહ ભાટી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાતનો ગઢ જીતવા રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેવામાં અન્ય બેઠકોની માફક પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો પર પણ ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગોધરામાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ પોસ્ટર લાગતા આ મુદ્દો આખા પંથકમાં ગાજ્યો હતો. બીજી તરફ આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે.
ઉમેદવારી કરવાનો તમામને અધિકાર
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીએ જણાવ્યું કે ચૂંટણી પહેલા આવા વિરોધીઑ મેદાનમાં આવતા હોય છે. જે ઉમેદવારો અને કોંગ્રેસની છબીને બગાડવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે જણાવ્યું કે લોકશાહીમાં ઉમેદવારી કરવાનો તમામને અધિકાર હોય છે. જેની પસંદગી કે સારી-ખરાબ બાબતો અંગે લોકો મત રૂપે પોતાની પ્રતિક્રિયા આપી શકે છે પરંતુ વ્યક્તિગત પ્રતિભાને નુકસાન પહોંચાડવાના ભાવ સાથે લાગેવા આવા બેનરોએ રાજકીય બાબતે ચિંતાનો વિષય ગણી શકાય છે.
વિરોધી પાર્ટી પાર કોંગ્રેસના આરોપ
રાજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ગોધરામાં પોસ્ટર લાગવામાં આવ્યા હતા. જેમાં વેચાયેલા ધારાસભ્યો ન જોઈએ, 'વેચાય જાય તેવા ઉમેદવાર નહીં ચાલે. તેવા સૂત્રોનો ઉલ્લેખ કરાયો હતો. આથી પોસ્ટર કોણે લગાવ્યાએ તપાસનો વિષય હોવાનું ઉમેરી અજીતસિંહ ભાટીએ વિરોધી પાર્ટીએ કોંગ્રેસની છબી ખરડવા માટે બેનરો લગાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.