વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દાયકાઓમાં ૭૦ વર્ષની ઉંમર પહેલાં થતાં મૃત્યુ માટે કેન્સર એક મુખ્ય કારણ બનીને ઊભર્યું છે. આ બીમારી અંગે જાગૃતિ અને તેના શરૂઆતનાં લક્ષણો ઓળખવામાં આવે તો કેન્સરના ૯૦ ટકા કેસ રોકી શકાય છે.
૨૦૧૮માં ભારતમાં કેન્સરના ૧૧.૬ લાખ નવા કેસ સામે આવ્યા હતા
WHO ના એક તાજા રિપોર્ટમાં ૧૦માંથી એક ભારતીયને તેના જીવનકાળમાં કેન્સર ની ઝપટમાં આવવાની અને ૧૫માંથી એકનું આ બીમારી ના કારણે મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. વર્લ્ડ કેન્સર રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં ભારતમાં કેન્સર ના ૧૧.૬ લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ કારણે ૭.૮૪ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. WHO ના ગરીબ દેશોમાં વર્ષ ૨૦૪૦ સુધી કેન્સર ના કેસમાં ૮૧ ટકાનો વધારો થવાની શંકા વ્યક્ત કરાઇ હતી.
નોઇડા સ્થિત રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના ડિરેક્ટર ડો.શાલિની સિંહે જણાવ્યું કે કેન્સર ના મોટા ભાગના કેસમાં બીમારીના અંતિમ તબક્કામાં જાણ થાય છે. ઝડપથી નિદાન થાય તો કેન્સરના ઉપચારમાં વધુ ફાયદો થઇ શકે છે. જો પહેલાં કે બીજા સ્ટેજ પર કેન્સર ની જાણ થાય તો તેનો ઉપચાર થઇ શકે છે અને બીમારી ફરી થવાના ડરને પણ ઘટાડી શકાય છે. કેન્સર રોકવા માટે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ડો.શાલિની સિંહે જણાવ્યું કે જ્યારે પ્રારંભિક અવસ્થામાં આ રોગની જાણ થાય તો મોટા ભાગના કેન્સર સર્જરીથી હટાવી શકાય છે અને ઘણી વાર કીમો થેરાપી થી પણ બચી શકાય છે. સામાન્ય રીતે કીમો થેરાપી ઉપચારની સંભાવનાને વધારે છે અને તેના પુનરાવર્તનની સંભાવનાને ઘટાડે છે. કીમો થેરાપી અંગે ઘણીબધી ગેરમાન્યતા પણ છે. તેનાથી પબ્લિકે જાગૃત થવું પડશે.
પબ્લિક રિલેશન ઓફ સોસાયટી ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. અજિત પાઠકે કહ્યું કે કેન્સરને રોકવા અમે તત્પરતા સાથે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. આ પહેલ સાથે અમે ઇચ્છતા હતા કે લોકોને જાણ થાય કે કેન્સર ને મેનેજ કરી શકાય છે અને યોગ્ય સમયે તેની ઓળખથી ઇલાજ પણ થઇ શકે છે.