સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નાણાં પંચ પાસેથી જાણવા કહ્યું કે, શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યમાં મફત યોજનાઓનો અમલ અટકાવી શકાય ?
મફત વસ્તુઓ વિતરણનું વચન આપનારા પક્ષકારોની માન્યતા રદ કરવાની માંગ પર સુનાવણી
સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારને નાણાં પંચ પાસેથી માહિતી જાણવા કહ્યું
શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યમાં મફત યોજનાઓનો અમલ અટકાવી શકાય ?
સપ્રિમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટ બુધવારે થશે
સુપ્રીમ કોર્ટે મફત વસ્તુઓનું વિતરણ કરવાનું વચન આપનારા પક્ષકારોની માન્યતા રદ કરવાની માંગ પર સુનાવણી કરતી વખતે મોટો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નાણાપંચ પાસેથી એ જાણવા કહ્યું છે કે, શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યમાં મફત યોજનાઓનો અમલ અટકાવી શકાય છે ? ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે મફત વસ્તુઓનું વિતરણ કરવાનું વચન આપનારા પક્ષકારોની માન્યતા રદ કરવાની માંગ પર સુનાવણી કરતી વખતે આ નિર્દેશ આપ્યો હતો. જોકે હવે આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટ, બુધવારે થશે.
શું છે સમગ્ર મામલો ?
બીજેપી નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં મફત વસ્તુઓનું વિતરણ કરવાનું વચન આપનાર પક્ષોની માન્યતા રદ કરવાની માંગ કરી છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આવી જાહેરાતો એક રીતે મતદારને લાંચ આપવા જેવી છે. તે માત્ર ઉમેદવારોને ચૂંટણીમાં અસમાન સ્થિતિમાં મૂકે છે પરંતુ ચૂંટણી પછી સરકારી તિજોરી પર બિનજરૂરી બોજ પણ નાખે છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે 25 જાન્યુઆરીએ નોટિસ જારી કરી હતી.
સુપ્રીમ કોર્ટે નાણાપંચને પ્રશ્ન પૂછ્યો
ચીફ જસ્ટિસે બીજા કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને પૂછ્યું, "તમે પણ વરિષ્ઠ સાંસદ છો. તમે જ કહો કે આનો ઉકેલ શું હોઈ શકે ?" સિબ્બલે કહ્યું, "સરકાર વતી નવો કાયદો બનાવવાથી રાજકીય વિવાદ થશે. આ સમસ્યાના ઉકેલ માટે નાણાપંચ યોગ્ય મંચ છે. નાણાં પંચ દરેક રાજ્યને ખર્ચ માટે નાણાં ફાળવે છે. જેથી તે જ આ ગંભીર સમસ્યાને હલ કરવામાં મદદ કરશે." કોર્ટે આ સાથે સંમત થતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજને આ મામલે નાણાપંચનો અભિપ્રાય પૂછવા અને કોર્ટને તેના વિશે જણાવવા કહ્યું. આ મામલે આગામી સપ્તાહે 3 ઓગસ્ટે સુનાવણી થશે.
અરજદારનું શું કહેવું છે ?
અરજદાર અશ્વિની ઉપાધ્યાયે જજોનું ધ્યાન દેવાથી ડૂબેલા રાજ્યો તરફ દોર્યું હતું. તેમણે કહ્યું, "છેલ્લી ચૂંટણીઓ પહેલા પંજાબ પર 3 લાખ 25 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું. એટલે કે પંજાબના દરેક નાગરિક પર 1 લાખ રૂપિયાનું દેવું હતું. પરંતુ ચૂંટણીમાં મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી . આના પર ચીફ જસ્ટિસે તેમને પૂછ્યું કે, તેઓ ખાસ કરીને પંજાબનું નામ કેમ લઈ રહ્યા છે. ઉપાધ્યાયે જવાબ આપ્યો, "તે માત્ર એક રાજ્યની વાત નથી. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, યુપી જેવા રાજ્યો પર પણ ઘણું દેવું છે. તમામ રાજ્યો પર મળીને રૂ. 70 લાખ કરોડનું દેવું છે. પક્ષો મફત યોજનાની જાહેરાત કરે છે. પરંતુ કરદાતાઓ રાજ્યના નાગરિકોને જણાવતા નથી કે, તેમની પાસે પહેલેથી કેટલું દેવું છે.
જાણો ચૂંટણી પંચે શું કહ્યું ?
અરજીના જવાબમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું છે, કે તે મફત વિતરણ કરવાનું વચન આપનાર પક્ષોની માન્યતા રદ કરી શકે નહીં. પંચે કહ્યું છે કે, આવું કરવું તેના અધિકારમાં નથી. પંચે એમ પણ કહ્યું છે કે, સરકારની નીતિ શું હશે તેના પર ચૂંટણી પંચનું નિયંત્રણ નથી. જો આવી ઘોષણાઓની પૂર્તિથી કોઈ રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે તો આ અંગે રાજ્યની જનતાએ નિર્ણય લેવો જ યોગ્ય છે.
પંચે આ રીતે હાથ ઉંચા ન કરવા જોઈએ: કોર્ટ
અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી હતી કે, પક્ષોને ઓળખવાનું અને પ્રતીકોની ફાળવણી કરવાનું કામ ચૂંટણી પંચનું છે. તે તેની સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરી શકે છે તે સુનિશ્ચિત કરવા માટે કે ઓછામાં ઓછી માન્યતા પ્રાપ્ત પક્ષો તરફથી આવી જાહેરાતો કરવામાં ન આવે. આ મામલાની સુનાવણી કરી રહેલી બેંચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ એનવી રમનાએ પણ ચૂંટણી પંચના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. પંચે આ રીતે હાથ ઉંચા ન કરવા જોઈએ.
જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું ?
ચૂંટણી પંચ માટે હાજર રહેલા વકીલે કહ્યું કે, કાયદો બનાવવો તે સરકાર અને સંસદના ક્ષેત્રમાં છે. કમિશન પોતાના વતી આ કરી શકે નહીં. આના પર કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજને પૂછપરછ કરી હતી. નટરાજે કહ્યું કે, કોઈ નવા કાયદાની જરૂર નથી. ચૂંટણી પંચે હાલના કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ. પંચ અને કેન્દ્ર સરકારના આ ઉદ્ધત વલણ પર નારાજગી વ્યક્ત કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, "કેન્દ્રએ પણ એફિડેવિટમાં એ જ બાબતો લખવી જોઈએ કે તે આ મામલે કંઈ કરવા માંગતી નથી."