CAG દ્વારા ગુજરાત સરકારના જળ સંસાધન ઉપર બારીકીથી કરાયેલા ઓડિટનો અહેવાલ આવ્યો છે જેમાં ગુજરાત સરકારના ઘણા દાવાઓની પોલ ખુલી ગઈ છે.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે CAG દ્વારા ગુજરાત સરકારના જળ સંસાધન ઉપર બારીકીથી કરાયેલા ઓડિટનો અહેવાલ આવ્યો છે જેમાં ગુજરાત સરકારના ઘણા દાવાઓની પોલ ખુલી ગઈ છે.
આ ઓડિટ 2013-2018ના આંકડાઓ માટે કરવામાં આવ્યો હતો. અહીં વિગતો બહાર આવી છે કે ગુજરાતમાં 17,843 ગામડા છે. આ પૈકી 8947 એટલે કે આશરે અડધા ગામડા નર્મદા કેનાલ અને તેને લગતા પ્રોજેક્ટ્સ દ્વારા પાણી મેળવે છે.
રાજ્યના તમામ રહેવાસોને સરળતાથી પાણી મળે છે તે દાવાને CAGએ ફગાવ્યો
ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યના તમામ 35,996 રહેવાસોને પાણીનો પુરવઠો સરળતાથી મળી રહે છે. આ દાવાને CAGએ ફગાવી દીધો છે.
જયારે કુટુંબને તેના ઘરથી 100 મીટરના વિસ્તારમાં દરરોજ 40 લીટર પ્રતિ વ્યક્તિ કે તેથી વધુ પ્રમાણમાં પાણી મળી રહે તેને Fully Covered કહેવાય છે. સરકારનો દાવો હતો કે રાજ્યના તમામ 35,996 રહેવાસો પાણીના પુરવઠા માટે Fully Covered છે.
આ દાવા સામે CAGએ રાજ્યના ટેસ્ટ માટે લીધેલા 78 રહેવાસોમાંથી ફક્ત 41 રહેવાસોને એટલે કે ફક્ત 53% રહેવાસોને પાણી પુરવઠા માટે Fully Covered ગણ્યા છે. અને બાકીના 37 રહેવાસોને Partially Covered ગણ્યા છે. Partially Covered રહેવાસોમાં પ્રતિ દિન પ્રતિ વ્યક્તિ 10 થી 40 લીટર જેટલું જ પાણી મળે છે.
જો 78 માંથી અડધાથી વધુ રહેવાસોમાં આ હાલત છે તો રાજ્યના તમામ 36,000 રહેવાસોમાં શું સ્થિતિ હશે તે ચિંતાજનક છે.
ગ્રામ્ય વોટર સપ્લાય સ્કીમના દાવા પોકળ
CAGએ નોંધ્યું છે કે તેમણે ટેસ્ટ લીધેલા 8 જિલ્લાના 2352 ગામડા જે વિવિધ 91 રૂરલ વોટર સપ્લાય સ્કીમની અંદર આવતા હતા તેમાંથી 2352 ગામડામાંથી ફક્ત 1587 ગામડાને જ રૂરલ વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પાણી મળી રહ્યું છે.
બાકીના 765 ગામડામાંથી 258 ગામડા પાસે તો કોઈ પાણીનો સ્ત્રોત જ નથી. આ પાછળ ડેમેજ થયેલી પાઇપલાઇન્સ, પાણીનું ખામીપૂર્વક વિતરણ અને નજીકમાં કોઈ જળ સ્ત્રોત ન હોવો જવાબદાર છે.
વળી જે રહેવાસોમાં રૂરલ વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પાણી મળી રહ્યું છે તેમાં પણ ડખા સામે આવ્યા છે. જેમ કે ભરૂચ જિલ્લાના દેવલા રહેવાસમાં આ યોજના હોવા છતાં દર 15 થી 20 દિવસે એક વાર પાણી આવે છે. આ ઉપરાંત જામનગરના રણજિતપરા રહેવાસમાં આ યોજના હોવા છતાં ટાંકાની હાઈટ ઓછી પાણી મળતું નથી.
વોટર સપ્લાય સ્કીમ્સ બંધ ન ચાલતી હોવા છતાં ચોપડે ચાલતી હોવાનું જણાવાયું
CAG દ્વારા જે ટેસ્ટ જિલ્લાઓમાં વોટર સપ્લાય સ્કીમ્સની ચકાસણી થઇ તેમાં 377 વોટર સપ્લાય સ્કીમ્સ નોન ફંક્શનલ એટલે કે બંધ થઇ ગયેલી માલુમ પડી હતી. જયારે સરકારી ચોપડે આ 377 પૈકીની ફક્ત 76 સ્કીમ્સ એટલે 20% સ્કીમ્સને બંધ દેખાડવામાં આવી હતી.
રાજ્યમાં કુલ 93 હજારથી વધુ વોટર સપ્લાય સ્કીમ્સ ચાલે છે. જો તે પૈકી કેટલી સ્કીમો નોન ફંક્શનલ છે તે સરકારી ચોપડે નોંધાતું નથી તેમ સાબિત થાય છે.