2 એપ્રિલનાં રોજ સચિવો સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, 'ખાનગી અને સરકારી ક્ષેત્રમાં રોજગાર પેદા કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.'
સચિવોને PM મોદીનો 16 સૂત્રીય નિર્દેશ
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ સચિવોને પત્ર લખ્યો
દેશમાં રોજગાર વધારવાને પ્રાથમિકતા આપો : PM મોદી
કેબિનેટ સચિવ રાજીવ ગૌબા (Cabinet Secretary Rajiv Gauba) એ તમામ સચિવોને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 16 સૂત્રીય નિર્દેશોથી માહિતગાર કર્યા છે. આ પત્ર 2 એપ્રિલે પીએમ મોદીની સચિવો સાથે થયેલી બેઠક બાદ લખવામાં આવ્યો છે. 4 એપ્રિલે લખવામાં આવેલા આ પત્રમાં આ બેઠકમાં થયેલી ચર્ચા અને PM મોદીનાં નિર્દેશોને વિગતવાર લખવામાં આવ્યા છે. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાનગી અને સરકારી ક્ષેત્રમાં રોજગાર પેદા કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તમામ હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
સરકાર ભારતીય કંપનીઓને વૈશ્વિક સ્તરે સફળ થવામાં મદદ કરે
PMએ કહ્યું કે, સરકારે આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે એક સુવિધા આપનાર અને ઉત્પ્રેરક એજન્ટ તરીકે કામ કરવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ અને રોજગારની નવી તકો ઊભી કરવા માટે સરકારે ખાનગી ક્ષેત્રને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ. સરકાર ભારતીય કંપનીઓને વૈશ્વિક સ્તરે સફળ થવામાં મદદ કરે. પીએમ મોદીએ વૈશ્વિક સૂચકાંકોનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, તેઓ આપણને એક તક આપે છે કે જેથી આપણે જાતે તેઓની સમકક્ષ ઊભા રહી શકીએ. આપણી ખામીઓને દૂર કરી શકીએ અને જરૂરી સુધારા પણ કરી શકીએ.
પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે, રાજ્ય સ્તરે નાણાકીય અનુશાસનના મહત્વ વિશે વાતચીત કરવી ખૂબ જરૂરી છે. આ અંગેના નીતિવિષયક નિર્ણયો અને પગલાંઓનું વિશ્લેષણ કરીને રાજ્ય સરકારો સાથે તેને શેર કરવું જોઈએ. નોંધનીય છે કે, આ બેઠકમાં કેટલાંક સચિવોએ મફતખોરીના વધતા ચલણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, કેટલાંક રાજ્યોના ચૂંટણી વચનોના કારણે તેમની સ્થિતિ શ્રીલંકા જેવી થઈ શકે છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, દરેક ક્ષેત્રે લાંબા ગાળા માટે નિકાસને પ્રોત્સાહન આપવા માટે શક્યતાઓ શોધવી જોઈએ અને એ માટે તકોનો લાભ લેવા માટે નીતિઓ બનાવવી જોઈએ. આ સાથે પીએમ મોદીએ નગણ્ય ગુનાઓને અપરાધમુક્ત કરવા માટે મિશન મોડ વર્ક કરવાનો પણ આગ્રહ રાખ્યો છે. આવાં તમામ પગલાંઓને એક સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું જણાવાયું.
વર્તમાન વિઝન 2047ને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂર છે
પીએમ મોદીએ કહ્યું કે, મહત્વપૂર્ણ મુદ્દાઓને સરકારની સંપૂર્ણતાને ધ્યાનમાં રાખીને ઉકેલવાની જરૂર છે. તમામ હિતધારકો સાથે ચર્ચા થવી જોઈએ અને અલગ-અલગ સ્લોટમાં કામ કરવાની વૃત્તિને રોકવી જોઈએ.
આ સિવાય આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું કે, વર્તમાન વિઝન 2047ને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂર છે. બજેટમાં જાહેર કરાયેલ વાઈબ્રન્ટ બોર્ડર વિલેજ પહેલને પૂર્ણ કરવા માટે તમામ મંત્રાલયો અને વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં મનરેગા હેઠળ 75 તળાવ બનાવવાનું કામ 15 ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. સ્વાયત્ત સંસ્થાઓમાં ઘટાડો કરવાની ભલામણો યુદ્ધના ધોરણે પૂર્ણ થવી જોઈએ અને આવી વધારે સંસ્થાઓની ઓળખ કરવી જોઈએ. અંતમાં કેબિનેટ સચિવે તમામ સચિવોને પત્ર લખ્યો છે કે, વડાપ્રધાનની સૂચનાઓને પૂર્ણ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.