વિંછીયાના સામાજિક આગેવાન મુકેશ રાજપરા પર કેટલાટ શખ્શો દ્વારા જીવલેણ હુમલો કરતા તેઓને ઈજા પહોંચવા પામી હતી. ત્યારે આ બાબતે વિંછીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સામાજિક આગેવાન મુકેશ રાજપરા પર હુમલો
પાણી મુદ્દે લોકોને મદદરૂપ થતા રાજપરા પર હુમલો
લાકડી,લોખંડની પાઈપ વડે હુમલો થયાનો આક્ષેપ
વિંછીયાના સામાજિક આગેવાન મુકેશ રાજપરા પર હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મુકેશ રાજપરા ઓફિસની બહાર નીકળ્યા તે વખતે મારામારીની ઘટના બનવા પામી હતી. બ્લેક કાર અને બાઈકમાં આવેલા 6 લોકો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. મુકેશ રાજપરા પર લાકડી, લોખંડની પાઈપ વડે હુમલો કરાયાનો આક્ષેપ કરાયો હતો. મુકેશ રાજપરાએ પીવાનાં પાણી મુદ્દે પ્રશ્ન ઉઠાવતા હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે. પાણી મુદ્દે લોકોને મદદરૂપ થતાં મુકેશ રાજપરા પર હુમલો કરાયો છે તેવું મુકેશ રાજપરા જણાવી રહ્યા છે. વધુમાં મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે સામાજિક આગેવાન તરીકે કામ કરૂ છું એટલે રાજકીય હુમલો થયો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં ઈશારે મારા પર હુમલો થયો છે. આ બાબતે વિંછીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હું લોકો માટે લડતો હોઉ છું જે કુંવરજી બાવળિયાને મંજૂર નથીઃ મુકેશ રાજપરા
આ બાબતે મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે હું સામાજીક કાર્યકર છું અને સર્વજ્ઞાતિ ટ્રસ્ટનો પ્રમુખ છું. અમારા વિસ્તામાં જ્યાં પણ લોકોને અન્યાય થાય ત્યાં હું લડતો હોઉ છું. પરંતું અમારા વિસ્તારનાં રાજકીય આગેવાન કુંવરજી બાવળિયાને આ વાત મંજૂર નથી. જ્યાં જ્યાં ભ્રષ્ટ્રાચાર થતો હોય ત્યાં હું અવાજ ઉપાડું એટલે અવાજ દબાવવા માટેએ અસામાજીક તત્વોને મોકલી ડરાવી ધમકાવી આ બધું રફે દફે કરવા માટે મારા ઉપર આજે જીવલેણ હુમલો કરાવ્યો છે.
પીવાનાં પાણી તેમજ ભુગર્ભ ગટરમાં 50 કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છેઃ મુકેશ રાજપરા
વિંછીયાની અંદર 20 થી 25 દિવસ સુધી પીવાનું પાણી આવતું નથી. ત્યારે પીવાનાં પાણી અને ભુગર્ભ ગટરને લઈ 50 કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે. ત્યારે આ બાબતે અવાર નવાર કલેક્ટર તેમજ રાજ્યનાં મંત્રીને પત્ર લખ્યો છે. પરંતું કંઈ થયું નથી. ત્યારે આજે વિંછીયા બંધ રાખવાનું હતું. બધુ રફેદફે કરવા માટે મારા પર હુમલો કર્યો છે. મારા પર હુમલો કરનાર શખ્શ અમારા વિસ્તારનો છે. રાજેશ ધાંધલ જે રઘુ ધાંધલનો ભાઈ છે. મારા પર ફાયરીંગ થયું છે અને મને પગમાં ગોળી પણ વાગી છે. ત્યારે આજે મારા પર આજે થયેલ હુમલા બાબતે હું કુંવરજી બાવળિયા પર આક્ષેપ કરૂ છું.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ નથી કર્યો: DYSP ઝાલા
કોળી અગ્રણી મુકેશ રાજપરા પર થયેલ હુમલા મામલે રાજકોટ રૂરલ ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર રાજુ ધાંધલ સહિત ચાર હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. મુકેશ રાજપરાએ રાજુ ધાંધલ સામે અરજી કરતા હુમલો થયો હતો. તેમજ વધુમાં ડી.વાય.એસ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે ફરિયાદમાં મુકેશ રાજપરાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.