ગાંધીનગર: આજે ગાંધીનગરમાં CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં રાજયમાં પીવાના પાણીની સ્થિતિ અંગેની સમીક્ષા થશે. તો સાથે જ સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની પણ સમીક્ષા થશે. તો જૂનથી શરૂ થતાં ચોમાસાની ઋતુ અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરાશે. જયારે વર્ષ 2019માં થનારી વ્રાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી અંગે ચર્ચા થશે. સાથે જ વિવિધ યોજનાઓ અને નીતિ વિષયક બાબતો અંગે પણ સમીક્ષા થશે.
ઉલ્લેખનીય છે કે ગત બુધવારે યોજાયેલ બેઠકમાં રાજકોટ-શાપરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ પીવાના પાણીને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ સંભળાતી બુમરાણ અંગે પણ ચર્ચા કરવામાં આવેલ.
ગૌશાળા સંચાલકોના વિવાદ પર પણ સમીક્ષા કરવામાં આવશે.મહત્વનું છે કે ઉત્તર ભારતમાં હાલ વાવાઝોડાની સ્થિતિ છે. તેને જોતા પણ રાજ્યમાં આવી કોઈપણ સ્થિતિ ન બને તે અંગે ચર્ચા કરાશે. તો સરકારની નીતિવિષયક બાબતો અંગે પણ બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે ગઇકાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો અને જેની ખુશીમાં ભાજપમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.આ ઘટનાની ઉજવણી દેશભરમાં કરવામાં આવેલ જેના પગલે વિજય રૂપાણીએ પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર કેબિનેટ બેઠકમાં 2019ની લોકોસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.