ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદ અને લમ્પી વાયરસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે.
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક
વરસાદની સ્થિતિ, લમ્પી વાયરસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા
બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા
આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પેટલની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠક યોજાશે. જેમાં વરસાદના કારણે રાજ્ય (Gujarat)માં વર્તમાન પરિસ્થિતિ તેમજ વરસાદના કારણે ખરાબ રોડ-રસ્તાઓની સ્થિતિ, ડેમની સ્થિતિ તેમજ લમ્પી વાયરસ અને સાતમ-આઠમના તહેવારો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે. સવારના 10 વાગ્યે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે.
લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં કરાશે ચર્ચા
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પશુઓમાં લમ્પી વાયરસનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે લમ્પી વાયરસનું સંક્રમણ અટકાવવા ગુજરાત સરકાર સતત એક્શન મોડમાં છે. ત્યારે લમ્પી વાયરસને ડામવા રાજ્ય સરકાર રસી ઉપરાંત હજુ કેટલાક નિર્ણય લઇ શકે તેવી શક્યતા છે. આ બેઠકમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના વેક્સિનેશન સહિતની કામગીરીની સમીક્ષા થશે.
બેઠકમાં સરકારની આરોગ્ય સેવા અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા
તદુપરાંત બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને વધુમાં વધુ સરકારની આરોગ્ય સેવાનો લાભ મળે તે અંગે પણ ચર્ચા થઇ શકે છે. તદુપરાંત રાજ્યમાં વધુમાં વધુ લોકો પીએમજેવાય કાર્ડ યોજનામાં લાભાર્થી બને તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં નવા નીર આવકથી જળ સપાટી 138 મીટરે પહોંચતા જળાશયોની સ્થિતિ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.
એનિમલ હેલ્પલાઇનમાં ફોન કોલ્સમાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે જેના કારણે એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો શિકાર બની રહ્યાં છે. લમ્પી વાઇરસના કારણે એનિમલ હેપલાઈનમાં આવતા ફોન કોલ્સમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
ગત રોજ છેલ્લા 24 કલાકમાં લમ્પી વાયરસના કુલ 2517 કેસો સામે આવ્યા
તમને જણાવી દઇએ કે, હાલ રાજ્યના 24 જિલ્લાઓની અંદર પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. ગત રોજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લમ્પી વાયરસના કુલ 2517 કેસો સામે આવ્યા હતા. જ્યારે 110 પશુઓના મોત નિપજ્યા હતા. મહત્વનું છે કે રાજ્ય સરકારનું પશુપાલન વિભાગ લમ્પી વાયરસને રોકવા માટે અવનવી યોજનાઓ તૈયાર કરી રહ્યું છે.