નવી દિલ્હીઃ દેશમાં કઠુઆ અને ઉન્નાવ જેવા દુષ્કર્મના વધી રહેલાં કેસના પગલે આદે કેન્દ્રીય કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્કો પાવરફૂલ બનાવવાને લઇ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટમાં સુધારો કરવાની માંગને મંજૂરી મળી છે. 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકોઓની રેપના દોષિતોને મોતની સજા આપવામાં આવશે. મહત્વનું છે કે સગીરા સાથે દુષ્કર્મ કરનારાઓને મૃત્યુદંડની સજા કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ હાલમાં જ કહ્યું હતું કે તેઓ કઠુઆ અને હાલમાં થયેલ બળાત્કારની ઘટનાઓથી બહુ જ દુખી છે અને તેમના મંત્રાલય ટુંક સમયમાં પોસ્કો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ કેબિનેટની સામે રજૂ કરશે. જો કે આ કાયદામાં દોષિતો માટે મોતની સજાનો કાયદો નથી.
કેબિનેટની બેઠકમાં એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજીના જવાબમાં એક પત્ર આપીને કહ્યું કે તેઓ પોસ્કો એક્ટમાં સંશોધન કરવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે જેના હેઠળ 12 વર્ષથી ઓછા વર્ષની બાળકોઓ સાથે બળાત્કાર માટે ફાંસીની સજાનું એલાન થશે.
ત્યારે રાજકીય પક્ષોમાં આ અંગે અટકળો વહેતી થઈ છે. ભાજપ નેતા ઝફર ઈસ્લામે ખાતરી આપતા કહ્યું કે સરકાર ચોક્કસ આવો કાયદો બનાવશે અને દોષિતોને સજા મળશે. તો કોંગ્રેસ નેતા શકીલ અહેમદે કહ્યું કે આ મુદ્દો દેશનો છે અને તમામ પાર્ટીઓએ સાથ સહકાર આપવો જોઈએ. ફક્ત કાયદો બનાવવો જ પૂરતો નથી તેનો ચુસ્તપણે પાલન થાય તે પણ જરૂરી છે.