CAA અને NRCનો થઈ રહેલો અપપ્રચાર સામે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં સાચી માહિતીને લઈને રેલીઓ કાઢી રહી છે. દેશના મુસ્લિમો આ બાબતે સુરક્ષિત છે તે બાબતને સમર્થન આપતી રેલી આજે નવસારીના વિજલપોર શહેરમાં નીકળી હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ પણ રેલીમાં જોડાયા હતા.
કાયદાની સકારાત્મક અસરો માટે રેલી
જામનગર, નવસારી, અમદાવાદમાં રેલી
ભાજપ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દેશભરમાં CAAનો વિરોધ અને કાયદાને સમર્થન કરતો પ્રવાહ ચાલી રહ્યો છે. મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ તો ભાજપ સરકાર અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા કાયદાના સમર્થનમાં મુહિમ ચાલી રહી છે. આ કાયદાની સકારાત્મક અસરો જન-જન સુધી પહોંચે તે હેતુથી ભાજપ દ્વારા દેશભરમાં લોકસંપર્ક અને પત્ર લેખન કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે આજે જામનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. CAAના સમર્થનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સ્થાનિક ભાજપ સંગઠન અને જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ભાજપની ટિમ દ્વારા દુકાનદારો અને ઘર-ઘર સુધી પહોંચી કાયદાના સમર્થનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિપક્ષ દ્વારા ખોટો પ્રચાર કરાઈ રહ્યો છેઃ વી.મુરલીધરન
CAAના સમર્થનમાં અમદાવાદમાં રેલી યોજાઇ હતી. જેમાં ભાજપના નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં. તો કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી વી.મુરલીધરને પણ રેલીમાં હાજરી આપી. આ દરમિયાન તેઓએ કહ્યું કે CAAના કાયદાને લઇ વિપક્ષ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની ટુકડા ગેંગ યુવાનેને ભડકાવી રહી છે.
'હું CAA સપોર્ટને કરું છું'ના પોસ્ટર સાથે રેલીમાં જોડાયા
અમદાવાદમાં CAA સમર્થનમાં નિકોલ સહિત ઓઢવ અને વિરાટનગરમાં રેલી યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા સહિત કાર્યકરો જોડાયા. રેલીમાં હું CAAને સપોર્ટ કરું છુંના પોસ્ટર સાથે નાગરિકો જોડાયા છે. ત્યારે આ દરમિયાન ભાજપ નેતા આઇ.કે.જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા CAAના કાયદાનો દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે. ત્યારે આ કાયદો કોઇની નાગરિકતા છીનવા માટે નહીં પરંતુ નાગરિકતા આપવા માટે છે.