સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં અપાયેલાં બંધનાં એલાન બાદ ફાટી નિકળેલાં હિંસક તોફાનમાં ઇસનપુર પોલીસ દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન ઉર્ફે સની બાબા પઠાણ સહિત ૪પ લોકોની ધરપકડ કરી છે, ત્યારે કારંજ પોલીસે ૧૧ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ ઉપરાંત પાંચ હજાર કરતાં વધુ લોકો વિરુદ્ધમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો અને કાવતરાંનો ગુનો દાખલ કર્યો છે.
કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત આરોપીઓ સામે હત્યાની કોશિશ
પોલીસ પર પૂર્વઆયોજિત રીતે હુમલો કરાયો હતો
વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ધરપકડનાં ચક્રો ગતિમાન
સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ૩ મુફતી, ૪ મૌલાના સહિત ૧પ મુસ્લિમ આગેવાનોનાં નામે આપવામાં આવેલા બંધની અમદાવાદમાં અસર જોવા મળી રહી હતી. બંધના નામે કેટલાંક ભાંગફોડિયાં તત્ત્વોએ પૂર્વ આયોજીત કાવતરું ઘડીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં સૌથી મોટું ઘર્ષણ શાહઆલમમાં થયું હતું. જેમાં પોલીસકર્મીઓ અને એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પીઆઇ જે.એમ. સોલંકી ફરિયાદી બન્યા છે અને મુખ્ય આરોપી તરીકે કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને દર્શાવ્યા છે.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં કેટલાંક મુસ્લિમ સંગઠનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમદાવાદના અનેક લઘુમતી વિસ્તારોમાં લોકોના ટોળે ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં, અને ટોળાં દ્વારા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ હિંસક આંદોલન શરૂ થતાં, પોલીસે પણ સામે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે.
પહેલા મીરજાપુર અને ત્યારબાદ શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર હુમલો કરાતાં તેમાં ર૦ જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસકર્મીઓમાં ઝોન-૬ ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં જે રીતે તોફાની તત્ત્વો પોલીસ તથા સુરક્ષાદળો પર મોંઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કરે છે, તે જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદના મીરજાપુર તથા શાહઆલમ વિસ્તારમાં પણ તોફાની તત્ત્વોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે કારંજ પોલીસે ૧૧ તોફાની તત્ત્વોની ધરપકડ કરી છે.
રખિયાલ પોલીસે પાંચ હજારનાં ટોળાં સામે આઇપીસી ૧૪૩ ને ૧૮૮ મુજબ ફરિયાદ નોંધી છે. જ્યારે ઇસનપુર પોલીસે પાંચ હજારનાં ટોળાં સામે ફરિયાદ નોંધી છે. આઇપીસી હત્યાની કોશિશ, કાવતરું તેમજ રાયોટિંગની ફરિયાદ નોંધી છે.
ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.સોલંકીએ જણાવ્યં છે કે ગઇ કાલે જે ઘર્ષણ થયું તેનું કાવતરું શહેજાદખાને ઘડ્યું છે. શાંતિ સમિતિની બે મિટિંગ યોજાઇ હતી. જેમાં શહેજાદખાનને રેલી નહીં કરવા માટેની વોર્નિંગ આપવામાં આવી હતી, તેમ છતાંય રેલીનું આયોજન કર્યું હતું. જે બાદ ઘર્ષણ થયું હતું. શહેજાદે શાહઆલમ મસ્જિદમાં પાંચ વાગ્યાની નમાજ પઢીને મિટિંગનું આયોજન કર્યું હતું. જેથી અમને શંકા છે કે તેણે મસ્જિદમાં કોઇ પ્લાન કર્યો હોઈ શકે છે. અથવા તો કોઇ બીજી જગ્યાએ પ્લાન કર્યો હોઇ શકે છે.
ઇસનપુર પોલીસે કુલ ૪પ લોકોની ધરપકડ કરી છે. જ્યારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલ વીડિયોના આધારે અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં તોફાની તત્ત્વોના ફોટા સ્પષ્ટ દેખાય તે માટે ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ ટીમ બનાવી છે.