નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં દેશના ઘણા ભાગમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય દૃઢપણે રજૂ કરવાનો અને જે વાત પસંદ ન હોય તેનો વિરોધ કરવાનો અબાધિત અધિકાર મળેલો જ છે અને એમાં કંઈ ખોટું પણ નથી. રાજધાની દિલ્હીના શાહીનબાગ ખાતે એક મહિના કરતાં પણ વધુ સમયથી થઈ રહેલાં વિરોધ પ્રદર્શન બહુ ચર્ચામાં છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના રિસર્ચ સ્ટુડન્ટ શરજીલ ઈમામનો એક વીડિયો હમણાં હમણાં બહુ વાઈરલ થયો છે. આ વીડિયોમાં શરજીલે તેના ભાષણમાં દેશના ટુકડા કરવાના ઈરાદા જાહેર કરતાં વિવાદ વકર્યો છે.
આજે કોઈ પણ વ્યક્તિ દેશના વડા પ્રધાનને પણ અપશબ્દ કહી દે છે અને બાદમાં વિવાદ સર્જાય ત્યારે તેને ‘અભિવ્યક્તિની આઝાદી’ ગણાવે છે
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આયોજિત ‘ચૌથા સ્તંભ: ધ ફોર્થ એસ્ટેટ’ સત્રમાં આમ જનતા અને મીડિયાની આઝાદી છેલ્લાં થોડાં વર્ષમાં છિનવાઈ ગઈ હોવાના મુદ્દે બહુ રસપ્રદ ચર્ચા થઈ હતી. આ સત્રમાં હાલના સમયમાં મીડિયા ડાબેરી અને જમણેરી છાવણીમાં વહેંચાઈ ગયું હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર ઓમ થાનવીના તીખા સવાલોનો જવાબ આપતાં ‘દૈનિક જાગરણ’ના એસોસિયેટ એડિટર અનંત વિજય અને ‘પાંચજન્ય’ના સંપાદક હિતેશ શંકરે બહુ સરસ વાત કરી હતી. તેમના જ શબ્દોમાં કહીએ તો હકીકત તો એ છે કે મીડિયા હોય કે આમ જનતા, જેટલી આઝાદી વર્તમાન સમયમાં બધાંને મળી છે એટલી પહેલાં ક્યારેય નથી મળી. આજે કોઈ પણ વ્યક્તિ દેશના વડા પ્રધાનને પણ અપશબ્દ કહી દે છે અને બાદમાં વિવાદ સર્જાય ત્યારે તેને ‘અભિવ્યક્તિની આઝાદી’ ગણાવે છે. આ આઝાદી નથી તો શું છે?
વાત વિચારવા જેવી પણ છે. થોડાં વર્ષ પહેલાં સુધી મીડિયાની તાકાત કેટલાક મુઠ્ઠીભર લોકોના હાથમાં હતી પણ હવે દરેકના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા છે. દરેક નાગરિક એક રિપોર્ટર છે. સોશિયલ મીડિયા હવે દરેક વ્યક્તિનાે અસલી ચહેરો સામે લાવી દે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા તેમના એજન્ડા લાંબા સમય સુધી લોકો પર થોપી શકતાં નથી. આવા સંજોગોમાં અભિવ્યક્તિની આઝાદી પર ફરી વિચાર કરવાનો સમય આવી ગયો છે.
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દેશના ઘણા ભાગમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય દૃઢપણે રજૂ કરવાનો અને જે વાત પસંદ ન હોય તેનો વિરોધ કરવાનો અબાધિત અધિકાર મળેલો જ છે અને એમાં કંઈ ખોટું પણ નથી. રાજધાની દિલ્હીના શાહીનબાગ ખાતે એક મહિના કરતાં પણ વધુ સમયથી થઈ રહેલાં વિરોધ પ્રદર્શન બહુ ચર્ચામાં છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના રિસર્ચ સ્ટુડન્ટ શરજીલ ઈમામનો એક વીડિયો હમણાં હમણાં બહુ વાઈરલ થયો છે. આ વીડિયોમાં શરજીલે તેના ભાષણમાં દેશના ટુકડા કરવાના ઈરાદા જાહેર કરતાં વિવાદ વકર્યો છે.
શરજીલ તેના ઉશ્કેરણીજનક ભાષણમાં કહે છે કે, ‘‘આપણો મુખ્ય હેતુ આસામ અને પૂર્વોત્તર ભારતને બાકીના ભારતથી અલગ કરવાનો છે. જો પાંચ લાખ મુસલમાન સંગઠિત થઈ જાય તો આપણે આસામને ભારતથી અલગ કરી દઈશું. મુસલમાનોએ ભારતની એ ‘ચિકન નેક’ કાપી નાખવી જોઈએ, જે તેને પૂર્વોત્તર સાથે જોડે છે. જો આવું થશે તો ત્યાં સેના પણ નહીં પહોંચી શકે.’’
શરજીલ ઈમામ શાહીનબાગ પર ચાલી રહેલાં ધરણાંનો મુખ્ય રણનીતિકાર અને આયોજક ગણાય છે. જેએનયુના ઈતિહાસ અધ્યયન કેન્દ્રનો PhD સ્ટુડન્ટ શરજીલ મૂળ બિહારના જહાનાબાદનો રહેવાસી છે અને તેણે આઈઆઈટી-બોમ્બે જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આધુનિક ઈતિહાસમાં રસ ધરાવતા શરજીલે સોશિયલ મીડિયા પર લોકોને શાહીનબાગ ધરણાંમાં જોડાવાની સતત અપીલ કરી હતી.
શરજીલના વિધ્વંસક નિવેદન પર પણ હંમેશની જેમ રાજકારણ શરૂ થઈ ગયું છે. એક તરફ એવા લોકો પણ છે, જે માને છે કે દેશમાં તમામ લોકોને પોતાના અધિકારો માટે લડવાનો-આંદોલનો કરવાનો અને પોતાના સ્વતંત્ર વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. વાત સાચી તો છે પણ અભિવ્યક્તિની આ તે કેવી આઝાદી કે જેનાથી દેશની એકતા અને અખંડતા પર જોખમ ઊભું થઈ જાય?
પૂર્વોત્તરનાં આઠ રાજ્ય-સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને આસામ આ 'ચિકન નેક' દ્વારા બાકીના ભારત સાથે જોડાયેલાં છે. આવી સ્થિતિમાં તેના મહત્ત્વનો અંદાજ આના પરથી લગાવી શકાય છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ધરણાં પર બેઠેલા જે લોકો સતત બંધારણના નામે, અભિવ્યક્તિની આઝાદીના નામે મનફાવે તે કહી-કરી રહ્યા છે તેમને જાણ હોવી જ જોઈએ કે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં 'રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા'ની વાત પણ કહેવામાં આવી છે. આનો અર્થ એ છે કે આ બંધારણ અભિવ્યક્તિની આઝાદી ફક્ત એ લોકોને જ આપે છે, જેઓ આ દેશની એકતા અને અખંડિતતામાં પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. આવી સ્થિતિમાં અભિવ્યક્તિની આઝાદીના નામે આપવામાં આવેલા શરજીલ ઈમામના તેજાબી-ભડકાઉ ભાષણને હળવાશથી લેવું બહુ ખતરનાક સાબિત થઈ શકે છે.
નવી પેઢીના દિમાગમાં દેશના ટુકડા કરવાનું આ ઝેર આખરે કોણ ભરી રહ્યું છે? તમે કોઈ પણ કાયદાનો વિરોધ કરવા પણ સ્વતંત્ર છો જ, પરંતુ એ વિરોધ ફક્ત કાયદા કે સરકારની નીતિઓનો હોવો જોઈએ, દેશની એકતા કે અખંડતાનો નહીં. દરેક વિરોધ પ્રદર્શનમાં તમને એવા શરજીલ મળી આવશે, જેના દિમાગમાં આવી વાતો સડતી રહેતી હોય છે અને સમય આવ્યે આ ગંદકી અભિવ્યક્તિની આઝાદીના નામે લોકોમાં પણ ફેલાવવામાં આવે છે. શરજીલ તો માત્ર એક ચહેરો છે, હકીકતમાં હાલ દેશના મોટા ભાગના લોકોને ખૂંચે કે ખટકે તેવી વિવાદાસ્પદ વાતો જાહેર મંચ પર કહેવાનો ‘ભયાનક ટ્રેન્ડ’ ચાલી રહ્યો છે.
CAA-NRCના વિરોધ અને સમર્થનમાં દેશ જાણે બે હિસ્સામાં વહેંચાઈ ગયો હોય તેવું લાગે છે. વિચારધારાની નિખાલસ લડાઈ લડવાના બદલે હવે વાસ્તવિક મુદ્દા કોરાણે મૂકીને પોતપોતાના પર્સનલ એજન્ડા સેટ કરવામાં આવી રહ્યા છે. જાગૃત નાગરિક તરીકે અભિવ્યક્તિની આઝાદીનો યોગ્ય ઉપયોગ કરી દેશને વિકાસની રાહ પર લઈ જવો એ આપણી સૌથી પહેલી અને અનિવાર્ય ફરજ છે.