એક સર્વેમાં યુપીના લોકોને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી એક સવાલ એ હતો કે શું સીએમ યોગી પીએમ મોદી પછી વડા પ્રધાન બનવા માટે સક્ષમ છે?
સીએમ યોગી આદિત્યનાથને લઈને પૂછાયો સવાલ
ઉત્તર પ્રદેશની જનતાને લઈને કરાયો સર્વે
એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યા રસપ્રદ તારણો
આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. 2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ રાજ્યની કમાન યોગી આદિત્યનાથને સોંપવામાં આવી હતી. 19 માર્ચ 2017 ના રોજ યોગીએ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. છેલ્લા ચાર વર્ષ દરમિયાન યોગી સરકાર દ્વારા ભ્રષ્ટાચાર ઉપર કાબૂ મેળવવા, કોરોના દરમિયાનની પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળવા અને રોજગારસર્જનના મોરચે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં એક સર્વેમાં યુપીની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
'શું યોગી આદિત્યનાથ પીએમ મોદી પછી વડા પ્રધાન બનશે'
એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા કરાયેલા સર્વે દરમિયાન યુપીના લોકોને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી એક સવાલ એ હતો કે શું સીએમ યોગી પીએમ મોદી પછી વડા પ્રધાન બનવા માટે સક્ષમ છે? આ સવાલના જવાબમાં રાજ્યના 50 ટકા લોકોએ 'હા' પાડી હતી. જ્યારે કે 37 ટકા લોકોએ કહ્યું કે યોગી આદિત્યનાથ પીએમ મોદી પછી વડા પ્રધાન બનવા માટે સક્ષમ નથી, અને 13 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ વિશે કશું કહી શકતા નથી.
2022ની ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળશે?
આગામી વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. યુપી વિધાનસભાની 403 ધારાસભ્ય સીટો માટે સી-વૉટર દ્વારા 15 હજાર 747 લોકો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે દરમિયાન, તારણ બહાર આવ્યું હતું કે 2021 ના અંદાજ મુજબ ભાજપને ચૂંટણીમાં 284 થી 294 બેઠકો મળી શકે છે. સમાજવાદી પાર્ટીને 54 થી 64 બેઠકો મળી છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને 33 થી 43 બેઠકો અને કોંગ્રેસને 1 થી 7 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે કે અન્યના ફાળે 10 થી 16 સીટો જઈ શકે છે.
શું છે તારણ ?
આ સાથે સરવેમાં ભાજપને 41 ટકાથી વધુ મત મળવાનો અંદાજ છે. જ્યારે સપાને 24 ટકા, બસપાને 21 ટકા, કોંગ્રેસને 6 ટકા અને અન્યને 8 ટકા મત મળવાનો અંદાજ છે. આમ સીટોની હિસાબે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે અને વોટ શેરિંગના હિસાબે પણ તે રાજ્યમાં સૌથી મોટો પક્ષ બની શકે છે.