ગુજરાતમાં 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય, CM રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટું નિવેદન
ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય: પાટીલ
CM રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં સારુ કામ થઇ રહ્યું છે: પાટીલ
આગામી સમયામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે દરેક પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક બાદ એક સંગઠનની બેઠકોનો દોર યોજાયા બાદ હવે સંગઠનની કામગીરીને વધુ મજબૂત કરવા સાથે સરકારના કાર્યોને પ્રજા સમક્ષ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી કાર્યકર્તાઓ તેમજ પક્ષના આગેવાનોને સોંપવામાં આવી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકારણને લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાત સરકારમાં કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં થાય: પાટીલ
આગામી વિધાન સભાની ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે તેને લઈ ગુજરાત ભાજપમાં અનેક અટકળો વહેતી થઈ છે ત્યારે નેતૃત્વ પરિવર્તનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી વિજપ રૂપાણીના નેતૃત્વમાં લડાશે. સી.આર. પાટીલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે તેવું નિવેદન આપતા જ તમામ અટકળો પર રોક લાગી ગઈ છે. વધુમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે સી.એમ રૂપાણીના નેતૃત્વમાં સારુ કામ થયું છે. સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે નહીં.
'પાટીલનું નિવેદન એ પક્ષનું નિવેદન' બોલ્યા DyCM
મહત્વનું છે કે સી.આર. પાટીલના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સી.આર.પાટીલ અમારા પ્રદેશ પ્રમુખ છે, તેમનું નિવેદન એ પક્ષનું જ નિવેદન છે. રાષ્ટ્રીય કક્ષાએ માર્ગદર્શન આપવામાં આવે તેનું પાલન થાય છે. સી.આર. પાટીલે રાષ્ટ્રીય કક્ષાએથી લેવાયેલા નિર્ણયને આધારે નિવેદન કર્યું હશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
સી.આર.પાટીલે સ્વાતંત્ર્ય પર્વની આપી શુભકામનાઓ
મહત્વનું છે કે આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સી.આર.પાટીલે દેશવાસીઓને અને ગુજરાતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી હતી. દેશમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધા મોદીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશવાસીઓને સંબોધિત કર્યા ત્યારે ગુજરાતમાં પણ આ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે અનેક જિલ્લાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીની દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ કરવા દેશભક્તના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ખાતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું જે બાદ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધિત કરી ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ આપી હતી.