ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોરોના પીડિત દર્દીઓ માટે રામબાણ ઈલાજ માનતા રેમડેસિવર ઈન્જેકશન આપવાની જાહેરાત કર્યા બાદ વિવાદ છંછાડાયો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું હતું.
કોરોના પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ
રેમડેસિવિર પર પણ બોલ્યા ગોહિલ
"CM કરતાં વગદાર છે ભાજપના નેતા?"
કોંગ્રેસી સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ લોકોને સહાય કરવાનો છે. રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ફાંફાં મારી રહ્યા છે ત્યારે તમામ શહેરોમાં આ ઈંન્જેક્શનની વ્યવસ્થા થવી જોઈએ.
આ સાથે જ તેમણે સરકારને સવાલ પૂછ્યો હતો કે, રાજકીય પાર્ટીઓ દ્વારા ઈન્જેક્શન આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય રાજકીય પાર્ટીને ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાશે?"
ભાજપ પર કર્યા પ્રહાર
તો લૉકડાઉન સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, સુરત ભાજપના કાર્યકરો ભૂતકાળમાં શ્રમિકોને વતનમાં જવા ટિકિટોની કાળાબજારી કરતા નજરે પડ્યા હતા અને તેના વિડીયો પણ વાયરલ થતા હતા. જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રી કરતા વધારે વગદાર હોય અને હજારો ઈન્જેકશન લાવી શકતા હોય તો તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફત વિતરણ કરવું જોઈએ.
ઈન્જેક્શન કોને આપવામાં આવ્યા તેની જાણકારી આપવી જોઇએ
આ સાથે જ ઈન્જેકશનોની યોગ્ય જાળવણી અને તાપમાન વગર અપાય તો નુકશાન કરી જાય માટે જ કાયદો છે કે, લાયસન્સ અને ક્વોલીફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ઈન્જેકશન/દવા વેચી કે વહેંચી ન શકાય. જે પાંચ હજાર ઈન્જેકશનની જાહેરાત થયેલ છે તે કોને કોને અપાયા ? તેનો પુરો ડેટા લાભાર્થીની વિગતો સાથે વેબસાઈટ પર જાહેર કરવો જોઈએ. નહીં તો થોડા વિતરણ અને પાછળના બારણેથી જાજા કાળા બજારમાં જવાની સંભાવના રહેશે.
ભાજપની આંતરિક લડાઈ હોવાની કરી વાત
સમગ્ર ઘટના ભાજપની આંતરિક લડાઈનો નમુનો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી રેમડેસિવીર ઈન્જેકશન પુરા પાડી શકતા નથી અને ભાજપના એક નેતા એક શહેર માટે હજારો ઈન્જેકશન મફતમાં આપવા લાવી શકે છે તેવુ પ્રસ્થાપિત કરીને ગુજરાતના મુખ્યમંત્રી નિષ્ફળ અને નબળા છે તેવુ સાબિત કરવા માંગે છે તેમ સ્પષ્ટ દેવાય છે. નહીં તો પોતાની જ સરકારને ઈન્જેકશનો અપાવવા જોઈએ અને સરકારી તંત્ર મારફત પતાના આર્થિક યોગદાનથી પારદર્શક રીતે વિતરણ કરાવવું જોઈએ.
કોંગ્રેસનો વિરોધ
સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection ) નો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર ઇન્જેક્શન નથી મળતા અને ભાજપ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોચ્યાં? શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો? સી.આર.પાટીલ માત્ર સુરત અને નવસારીની જ સેવા કેમ કરે છે. પાટીલ અન્ય જિલ્લાઓમાં કેમ વિતરણ ના કર્યું.
શું છે સમગ્ર વિવાદ ?
ગુજરાતમાં સરકાર પાસે પણ હાલ કોરોનાના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે ત્યારે ભાજપ પ્રમુખ દ્વારા મફત વહેંચણીથી ભારે વિવાદ સર્જાયો છે. આવામાં સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું હતું કે આ ઈન્જેક્શન અમે જાતે કરી છે. આમા સરકારે અમને કોઈ મદદ નથી કરી. હું મારી જાતે ઈન્જેક્શન લાવું છું. સુરતના અમારા કેટલાંક મિત્રોએ આ ઈન્જેક્શન ખરીદ્યા હતા. તે જ ઈન્જેક્શનનું હવે ભાજપ દ્વારા લોકોની જરૂરિયાત મુજબ કરવામાં આવશે. આવામાં દેખાઈ રહ્યું છે કે પાટીલ મફતના ઈન્જેક્શનની જાહેરાત કરીને ભરાઈ ગયા હતાં.
5000 રેમડેસિવીર ઈન્જેક્શન મફત આપવા મામલે વિવાદ વધતા C R પાટીલનું નિવેદન આવ્યું સામે, કહ્યું હું મારી રીતે ઈન્જેક્શન લાવું છું, જાતે વ્યવસ્થા કરી છે. અગાઉ CM રૂપાણીએ કહ્યું હતું કે સરકારને ખબર નથી પાટીલ ક્યાંથી ઈન્જેક્શન લાવ્યાં.@CRPaatil@vijayrupanibjp@BJP4Gujarat@INCGujaratpic.twitter.com/2l1spmtbNL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2021
શું કહ્યુ CM રૂપાણીએ?
સી.આર.પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે. સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ( remdesivir injection )વિતરણ મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે સરકારે ભાજપને કોઈ જથ્થો નથી આપ્યો. ઈન્જેક્શનના જથ્થા મુદ્દે સી.આર.પાટીલને પૂછવું જોઈએ. સી.આર.પાટીલે વ્યવસ્થા કેવી રીતે કરી એ તેમને ખબર છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 10, 2021
તપાસના આદેશ અપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે આ મામલે નોંધ લેતા તપાસના આદેશ આપ્યાં છે. વિભાગે કહ્યું છે કે આ મામલે તપાસ સોંપાઈ છે અને ક્યાંથી આવ્યા તેમ જ ભાજપના કાર્યાલય પર તેના વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવશે. નિયમોઅનુસાર કોઈ ખાનગી જગ્યાએ આ ઈન્જેક્શનનું સરકારની પરવાનગી વિના વિતરણ ન કરી શકે. ઉપરાંત ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના પણ આ ઈન્જેક્શન આપી શકાય નહીં.