વડોદરાના પાદરામાં C.R પાટીલનો વન-ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજાયો. જેમાં પાટીલે રામમંદિર મુદ્દે ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું કે, 'ભરતસિંહ સોલંકીને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ ચેકઅપ કરવું જોઈએ. કોંગ્રેસના નેતા કેમ વારંવાર હિન્દુઓની લાગણી દુભાવે છે. ભરતસિંહની તાકાત હોય તો અન્ય ધર્મ લોકોની સામે બોલી બતાવે. અન્ય ધર્મના લોકો જે એમની આજુબાજુ ફરે છે એમના વિશે બોલો.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 25, 2022
હિન્દુઓની લાગણી દુભાવવાનો બંધ નહીં કરો તો હિન્દુ લોકો નહીં છોડે : પાટીલ
વધુમાં એમ પણ કહ્યું કે, 'ભરતસિંહ સોલંકીને હું વોર્નિંગ આપું છું કે શાનમાં સમજી જાય. હિન્દુઓની લાગણી દુભાવવાનો બંધ નહીં કરો તો હિન્દુ લોકો નહીં છોડે. મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકીએ ગઇ કાલે રામ મંદિરને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું.
રામ મંદિર મુદ્દે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોંગ્રેસનું OBC સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રામ મંદિર મામલે ભાજપ પર કટાક્ષ કર્યો હતો અને તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. ભરતસિંહે કહ્યું કે, રામ મંદિરના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે..સરકારે કરોડો આપ્યા હોવા છતા પ્રજા પાસે પૈસાનું ઉઘરાણું કરાયું છે..રામને છેતરવાળા લોકો સામાન્ય પ્રજાને છેતરી રહ્યા છે.જો કે વિવાદ થતાં ભરતસિંહે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.ભરતસિંહે કહ્યું કે, મારો વિરોધ રામનો નથી પણ રામના નામે રાજનીતિ કરતા લોકોનો છે.મારો ઉદ્દેશ રામનો ઉપયોગ કરનારા લોકોને ઉધાડા પાડવાનો છે...ભાજપે રામશીલા ફેરવીને લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. તે પૈસાનો આજદિન સુધી હિસાબ નથી આપ્યો.
ભરતસિંહના નિવેદન મુદ્દે હર્ષ સંઘવીનો તીખો જવાબ
રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચી: હર્ષ સંઘવી
ભરતસિંહ સોલંકીના વિવાદિત નિવેદન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે. સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાનું નિવેદન સાંભળી મને દુઃખ થયું. કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. ભગવાન રામ ભારતીયોની નસ નસમાં છે. તમને રામ મંદિર બનતું હોય તે ન ગમતું હોય એટલે આવા મનફાવે તેમ નિવેદન કરો છો. રામ મંદિર અને રામશીલા પર આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.
ભાજપનો ભરતસિંહને વળતો પ્રહાર
ભરતસિંહ સોલંકીના નિવેદન પર ભાજપ નેતા યગ્નેશ દવેએ રામમંદિર મુદ્દે ભરતસિંહના નિવેદનને વખોડી કાઢ્તા કહ્યું કે ભાજપનો સ્પષ્ટ વહીવટ છે. ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. સાત દાયકા સુધી કોંગ્રેસની સરકાર હતી પરંતુ રામ મંદિરનું નિર્માણ થયું નહી. આ નિવેદન ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. આ તરફ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ વાર કર્યા છે. કહ્યું છે કે અશિષ્ટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ એમના માટે સામાન્ય છે. કોંગ્રેસનાં કેટલાક લોકો કોઈ આંદોલન નહોતું ત્યારે પણ આને રોક્યું હતું.કોંગ્રેસ આવું બોલે છે એ એમની આદત છે.
ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે: હાર્દિક
ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિક પટેલે ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. હાર્દિકે પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે હતુ કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઇ લેવા દેવા નથી. કોંગ્રેસ પાર્ટી હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં કામ કરતી આવી છે. ગુજરાતના નેતાઓ રામ મંદિર મુદ્દે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. કોંગ્રેસને ભગવાન શ્રી રામથી શું વાંધો છે?, કોંગ્રેસના નેતાઓ વિવાદિત નિવેદનો કેમ આપે છે?, શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી? આવા સવાલો પણ હાર્દિકે કોંગ્રેસને કર્યા હતા.