ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે. ત્યારે પક્ષપલટાની મોસમ પણ જામી છે. ખાસ કરીને ઘણ ખરા નેતાઑ અને કાર્યકર્તાઓ કેસરિયા કરી રહ્યા છે. ત્યારે વધુ એક વખત કોંગ્રેસ, BTP, AAPને મોટો ઝટકો લાગ્યો છે. કમલમ ખાતે કોંગ્રેસ-AAP-BTPના નેતાઓ સીઆર પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે.
કોને કોને કર્યો કેસરીયો?
કોંગ્રેસ, BTP, AAP સાથે છેડો ફાડી ભાજપ ગમન કરેલા નેતાઑ પર નજર કરીએ તો પાવી જેતપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ, ગુજકોમાસોલનાં ડાયરેકટર નયના શાહ છોટા ઉદેપુરનાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ યશપાલ ઠાકોર ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આ નેતાઑને ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા. હોદ્દેદારો સાથે સમર્થકોએ પણ કેસરીયો કર્યો હતો.
"અમે જન સંપર્ક માટે એક ડેસ બોર્ડ અને એપ્લિકેશન બનાવી"
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ડેશબોર્ડ એપ તેમજ સદસ્યતા અભિયાનના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જે દરમિયાન પાટિલે કહ્યું હતું કે ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું, દેશમાં ગુજરાત સૌથી વધુ સભ્યો બનાવવામાં આગળ છે. આજે તો અમે છીએ પણ આવનારા દિવસોમાં પણ રહીશું તેમ કહી 2023માં ભાજપની સરકાર બનશે તેવો ઈશારો કર્યો હતો. અને વધુમાં કહ્યું હતું કે અમે જન સંપર્ક માટે એક ડેસ બોર્ડ અને એપ્લિકેશન બનાવી છે જે 50 લાખથી વધુ પરિવાર સુધી પહોંચશે. સાથે જ ભાજપ કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈને ડેટા એકત્ર કરવા પણ આહ્વાન કર્યું હતું. આ એપની મદદથી લોકોને સરકારીની કામગીરી, યોજનાઓ અંગે માહિતી આપીશું. મતદાતાઓના અણગમાને દૂર કરવાનો પ્રયાસ કરીશું.
બોર્ડ અને નિગમમાં વરણીને લઈ સી આર પાટીલનું મોટું નિવેદન
આ ઉપરાંત બોર્ડ અને નિગમમાં નિમણૂક અંગે સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે બોર્ડ અને નિગમ માટે નિર્ણય લેવાનો બાકી છે. કોઇ આગેવાનો દ્વારા માંગણી કરવામાં નથી આવી.યોગ્ય સમયે કાર્યકરોને જવાબદારી આપવામાં આવશે. અત્યારે અમારો લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનો છે
ગુજરાત ભાજપની પેજ-પ્રમુખ ફોર્મ્યુલા
ગુજરાત ભાજપમાં સૌપ્રથમ વખત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે પેજ-પ્રમુખની ફોર્મ્યુલાને અપનાવી હતી. ચુંટણી દરમિયાન ચુંટણીપંચ દ્વારા મતદારયાદી બહાર પાડવામાં આવે છે. જેમાં એક પેજમાં 30 મતદારનાં નામ હોય છે. એ મતદાર યાદીમાંથી એક-એક પેજ-પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે, એક પેજ-પ્રમુખ માત્ર એના પેજના 30 મતદાર સાથે સીધો સંપર્કમાં રહે છે અને મતદાનના દિવસે આ 30 મતદારને મતદાન બુથ સુધી મત આપવા મોકલવા સહિતની જવાબદારી આ પેજ પ્રમુખના માથે હોય છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટીનો ભાજપનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. આમ ભાજપની આ તળિયામાંથી મતદરોના સંપર્કમાં રહેવાની ફોર્મ્યુલા અગાઉની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં એકદમ લાભદાય નીવડી હોવાથી હવે વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપ તેને અપનાવી રહ્યું છે.