આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસએ હજાર રૂપિયાની નોટને ફરીથી દાખલ કરવા પર ચાલી રહેલી ચર્ચાઓની સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
આરબીઆઇ દ્વારા મોનેટરી પોલીસી કમિટીની બેઠક
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા માહિતી
2000 અને 1000 અને 500ની નોટ મામલે આપ્યું નિવેદન
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મોનેટરી પોલીસી કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક ત્રણ દિવસ ચાલી હતી અને આજે સંપન્ન થઈ છે. ત્યારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા ત્રણ દિવસ ચાલેલી આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હોવાનું દાસે જણાવ્યું હતું. ત્યારબાદ ફુગાવો, જીડીપી અને અર્થતંત્રના મહત્વના પરિબળો વિશે પણ તેમને માહિતી આપી હતી. વધુમાં આરબીઆઇ ગવર્નરે દેશમાં 2000 અને 500 રૂપિયાની નોટો વિશે પણ માહિતી આપી હતી. આ સાથે જ તેમને હજાર રૂપિયાની નોટને ફરીથી દાખલ કરવા પર ચાલી રહેલી ચર્ચાઓની સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
2000 રૂપિયાની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જમા થઈ જશે
2000 ની નોટ મામલે શક્તિકાંત દાસે કહ્યું કે અત્યાર સુધીમાં 2000 ની અડધી નોટો બેંકમાં પરત આવી ચૂકી છે અને 2000 રૂપિયાની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જમા થઈ શકે છે અથવા બદલી શકે છે. ઉપરાંત બજારમાં ચાલતી ભ્રમણા મામલે તેઓએ કહ્યું કે કેન્દ્રીય બેન્કનો 500 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવાનો કોઈ ઇરાદો નથી. જેથી આવી વાત પર લોકોએ વિશ્વાસ ન કરવો જોઈએ.
1,000 ની નોટ ફરી બહાર પાડવા અંગે ચોખવટ
બીજી બાજુ હજાર રૂપિયાની નોટ ફરી ચલણમાં આવે તેવી પણ એક ચર્ચા જાગી હતી. ત્યારે રિઝર્વ બેંકના ગવર્નરે આ મામલે સત્તાવાર નિવેદન આપી અને હજાર રૂપિયાની નોટને ફરીથી ચલણમાં લાવવા અંગેની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને તેમણે કહ્યું કે કેન્દ્રીય બેન્કની 1,000 ની નોટ ફરી બહાર પાડવા અંગે કોઈ યોજના નથી અને આ નોટ દેશમાં ફરી ચલણમાં નહીં આવે! તે મામલે ચોખવટ કરી હતી.