સુરતઃ શહેરનાં મનપાનાં મેયર અસ્મિતા શિરોયાએ પ્રધાનમંત્રી મોદીને લખેલ પત્રથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મનપા જકાતની આવક બંધ થઇ હોવાનો પત્રમાં ઉલ્લેખ જોવાં મળી રહ્યો છે અને પાલિકા વિકાસનાં
કામો પર ગંભીર અસર થઇ હોવાનો પણ ઉલ્લેખ છે.
વિકાસનાં કામો માટે ફંડની જરૂરિયાત હોવાની PMને આજીજી પણ કરવામાં આવી છે. ત્યારે મેયરનાં પત્રને લઇને કોંગ્રેસે રાજનિતી કરી રહી છે. તો પાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બુલેટની સ્પીડે વિકાસનાં કામો કરવામાં આવી રહ્યાંનો દાવો શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ બીજી તરફ પાલિકાનાં કામો કરવા માટેનાં રૂપિયાનું તિજોરીમાં તળિયું ઝાટક થયું હોવાનું દેખાઇ રહ્યું હતું અને તેનાં જ કારણે હાલમાં રજુ થયેલા બજેટમાં 500 કરોડનો તોતિંગ વેરા વધારો કરવામાં આવ્યો હતો.
જો કે બાદમાં ભારે વિરોધ બાદ આ વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો ત્યારે શુક્રવારે મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા એક પત્ર પણ રજુ કરવામાં આવ્યો હતો.
જેમાં પ્રધાનમંત્રીને પત્ર લખી મેયર દ્વારા ફંડની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસનો એવો આરોપ છે કે મહાનગરપાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા બાકી રહેલા રૂપિયા નહીં આપી અન્યાય થઇ રહ્યો છે. જ્યારે મેયરે આવું કંઈ પણ નહીં હોવાનો દાવો કરી રહ્યાં છે.
રાજ્યની સદ્ધર મહાનગરપાલિકાઓમાંની એક એટલે સુરત મહાનગરપાલિકા. 5000 કરોડથી વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગર પાલિકાએ વિકાસનાં કામોમાં બુલેટ સ્પીડથી કામગીરી કરી.
પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં વિકાસની સ્પીડને બ્રેક લાગવા લાગી છે અને તેમાં પણ હાલમાં જ રજુ થયેલા વર્ષ 2018-19નાં બજેટમાં તો આ સ્થિતિ સ્પષ્ટ રીતે દેખાઇ રહી હતી.
કારણ કે આ બજેટમાં 500 કરોડની આસપાસનો તોતિંગ વેરા વધારો પાલિકા દ્વારા લોકો પર ઝીંકવામાં આવ્યો હતો. આ વેરા વધારા પાછળનું સીધું ગણિત એ હતું કે મનપાએ દે ધનાધન વિકાસનાં પ્રોજેક્ટોની લીલી ઝંડીઓ
આપી કામગીરી કરી પણ તિજોરીમાં થતી આવક ઘટવાને કારણે તિજોરીમાં તળિયું દેખાવા લાગ્યું હતું.
એક તરફ વેરો વધારવો જરૂરી હતો પરંતુ બીજી તરફ લોકોમાં ઉગ્ર રોષ હતો અને તેથી જ વેરા વધારો પાછો ખેચી સામાન્ય વધારો જ કરાયો હતો. પાલિકાની તિજોરીમાં તળિયું દેખાતા કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો પર ગંભીર
આરોપો મુકવામાં આવ્યાં હતાં જો કે તે સમયે શાસકોએ ઇનકાર કર્યો હતો.
જો કે શુક્રવારે મળેલી એપ્રિલ મહિનાની મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસનાં કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મેયર અસ્મિતા સિરોયા દ્વારા દેશનાં પ્રધાનમંત્રીને લખવામાં આવેલાં પત્રની કોપી જાહેર કરી હતી.
જેમાં સ્પષ્ટ પાને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જકાતની આવક બંધ થયા બાદ મહાનગર પાલિકાના વિકાસના કામો પર ગંભીર અસર પડી છે અને જો વિકાસનાં કામો કરવા હોય તો કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવે. આમ કોંગ્રેસે ભાજપ પર અનઆવડતનો આરોપ મુક્યો છે.