'અમને ઉંઘની ગોળી આપીને સુવરાવી દેજો પપ્પા, ત્યારબાદ ગળું દબાવી દેજો.' વારાણસીમાં એક પરિવારની આત્મહત્યાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ધંધામાં નુકસાન અને દેવાથી હેરાન એક વેપારીએ પત્ની, દીકરા અને દીકરીનો જીવ લીધા બાદ ખુદ આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા વેપારીએ પોતાના ખતરનાક નિર્ણય વિશે પોલીસને ફોન કરીને સૂચના આપી દીધી હતી. પોલીસ તપાસ અનુસાર સમગ્ર પરિવાર 23 દિવસથી સુસાઇડની તૈયારી કરી રહ્યા હતા.
12 પેઝની સુસાઇડ નોટ મળી
ધંધામાં નુકસાનને લઇને પગલું ભર્યું
સમગ્ર તૈયારી સાથે જીવ આપ્યો
વારાણસી શહેરના આદમપુર વિસ્તારના નચની કુઆં વિસ્તારમાં વેપારી ચેતન તુલસ્યાન (45) પરિવાર સાથે રહેતા હતા. નીચે મકાનમાં માતા-પિતા અને ઉપર ચેતન પત્ની ઋતુ (42), દીકરો હર્ષ (19) અને દીકરી હિમાંશી (17) રહેતા હતા. સવારે 4.35 વાગ્યે ચેતને ડાયલ 112 પર ફોન કરીને સૂચના આપી દીધી કે તેઓ પરિવાર સાથે આત્મહત્યા કરવા જઇ રહ્યા છે. પોલીસ કર્મચારી ફરી ફોન લગાવવા લાગ્યા તો ફોન રિસીવ ન થયો. ખુબ મુશ્કેલીથી શોધખોળ કરતા પોલીસ ઘરે પહોંચી તો તેમના પિતા રવિન્દ્રનાથે દરવાજો ખોલ્યો.
પોલીસના પૂછવા પર જણાવ્યું કે ઘરમાં બધુ ઠીક છે. ચેતન વિશે પૂછવા રવિન્દ્રનાથ ઉપર ગયા તો રૂમનો દરવાજો ન ખુલ્યો. પોલીસે દરવાજો તોડીને જોયું તો અંદર એક રૂમમાં બેડ પર હર્ષ અને હિમાંશી મૃત પડ્યા હતા. બીજા રૂમમાં ઋતુનો મૃતદેહ હતો અને ચેતનનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. રૂમમાં ઉંઘની દવાની શીશી મળી.
12 પેઝની સુસાઇડ નોટ
સહપરિવારના મોતની માહિતી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઇને આઈજી રેન્જ વિજય સિંહ મીણા, એસએસપી પ્રભાકર ચૌધરી અને એસપી મિટી દિનેશ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. ફોરેન્સિક વિભાગની ટીમ પણ પહોંચી. રૂમમાં પોલીસને 12 પેઝની સુસાઇડ નોટ મળી છે. આ વેપારીની પત્નીએ લખી છે.
ધંધામાં નુકસાનને લઇને પગલું ભર્યું
પોલીસના જણાવ્યા અનુસાર સુસાઇડ નોટમાં ધંધામાં નુકસાનને લઇને આર્થિક તંગી વ્યક્ત કર્યાની સાથે ઋતુએ લખ્યું કે 20 વર્ષ પહેલા જ્યારે તે લગ્ન કરીને વારાણસી આવી તો લાગ્યું કે ખુશખુશાલ પરિવારમાં લગ્ન થઇ રહ્યા છે. જાણ થઇ કે પતિને ઓછુ દેખાવાની અસાધ્ય બિમારી છે. પરિવારના સભ્યોનો પણ જે પ્રમાણે સહયોગ મળવો જોઇતો હતો, ક્યારેય ન મળ્યો. સુસાઇડ નોટમાં દીકરા-દીકરીના હવાલેથી લખ્યું કે અમને ઉંઘની દવા ખવરાવીને ઉંઘાડી દેજો પપ્પા, ત્યાર બાદ ગળું દબાવી દેજો.
સમગ્ર તૈયારી સાથે જીવ આપ્યો
એએસપી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે, ઘટના સ્થળેથી સુસાઇડ નોટ અને દવાઓ વગેરે વસ્તુઓ જોઇને એ સાબિત થાય છે કે સમગ્ર તૈયારી અને એકબીજાની સંમતિથી પરિવારે જીવ આપ્યો. સુસાઇડ નોટની સાથે સ્ટેમ્પ પેપર પર લખેલું એફિડેવિડ પણ મળ્યું છે. મર્યા પહેલા વેપારીએ પોતાના ખતરનાક નિર્ણય વિશે પોલીસને ફોન કરીને સૂચના આપી દીધી હતી. સુસાઇડ નોટની સાથે પોલીસને સ્ટેમ્પ પેપર પર લખેલું એફિડેવિટ પણ મળ્યું છે. જે ગત મહિનાની 22 જાન્યુઆરીએ બનાવ્યું હતું. આના પર ચેતન તુલસ્યાન તરફથી લખ્યું છે કે મર્યા બાદ તેમની સંપૂર્ણ સંપત્તિ ગોરખપુરમાં રહેતા સાળાને આપી દેવામાં આવે. એફિડેવિટથી સ્પષ્ટ થાય છે કે વેપારી અને તેમના પરિવારે 23 દિવસ પહેલાથી જ મોતની તૈયારી કરી હતી. સુસાઇડ નોટ અને એફિડેવિટને ફોરેન્સિક ટીમે કબ્જે કરી છે.
ચાર મહિનામાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે ત્યારે VTVGujarati.com અપીલ કરે છે કે આ પ્રકારનું પગલું ભરવું એ સમસ્યાનો અંત નથી. કોઇ પણ સમસ્યાનો ઉકેલ એ આત્મહત્યા નથી. ત્યારે આ પ્રકારે પરિવારની સામૂહિક હત્યાએ ખુબ જ ગંભીર બાબત છે.