શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વાસણની દુકાન ચલાવતા ખોખરાના વેપારી પિતા-પુત્રની કડક ઉઘરાણીથી કંટાળીને એક યુવકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. બે મહિના પહેલાં વેપારીના દુકાનમાંથી યુવક કામ કરતો હતો. જ્યાં તેણે ચેક ચોરીને રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
યુવકે બે મહિનામાં રૂપિયા ચૂકવી દેવાની બાંયધરી વેપારીને આપી હતી. યુવક બે મહિના સુધી રૂપિયા નહીં ચૂકવતા તેણે વધુ મુદત માગી હતી. જોકે વેપારીએ મુદત નહીં આપતાં ગઇ કાલે તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે યુવક પાસેથી સ્યુસાઇડ નોટ કબજે કરીને તપાસ શરૂ કરી છે.
અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સત્યનારાયણનગરની મણિલાલ ભાવસારની ચાલીમાં રહેતા ભરતભાઇ સોનીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ભરતભાઇ પત્ની અને એક પુત્ર વિશાલ સાથે રહે છે. મસાલામાં નાખવાના ચૂનાનાં પાર્સલની ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
૨૯ વર્ષિય વિશાલે ગઇકાલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. ભરતભાઇએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે વિશાલ છૂટક મજૂરી કરતો હતો અને બાકીના સમય પર ચૂનાનાં પાર્સલની ફેરી કરતો હતો. વિશાલ અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ગણેશ વાસણ ભંડાર નામની દુકાનમાં છુટક મજૂરી કરતો હતો. કોઇપણ વાસણ ભરેલી ટ્રક આવે તો તેમાંથી વાસણો ઉતારવાનું કામ કરતો હતો. જેમાં તેને તેની મહેનતના રૂપિયા વેપારી નટવરલાલ અને તેના પિતા આપતા હતા. પોલીસ વિશાલે થોડાક સમય પહેલા દુકાનમાં પડેલો ચેક ચોરી લીધો હતો અને તેને બારોબાર ખાતામાં જમા કરાવી દીધો હતો.
વિશાલની હરકતોની જાણ નટવરલાલ અને તેના પિતાને થતાં તેમણે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી. નટવરલાલે વિશાલને દુકાનમાં બોલાવીને માર માર્યો હતો અને તેને ગોંઘી રાખ્યા બાદ રૂપિયા મગાવ્યા હતા. વિશાલે બેન્કમાં જમા થયેલા રૂપિયા પૈકી થોડાક રૂપિયા પરત આપી દીધા હતા અને બીજા ૧૫ હજાર રૂપિયા બે મહિનામાં આપી દેવાનું વચન આપ્યું હતું.
નટવરલાલ અને વિશાલ વચ્ચે સમાધાન થઇ જતાં ફરિયાદ પરત ખેંચી લીધી હતી. નટવરલાલે ૧૫ હજાર રૂપિયા આપવાના બદલામાં બે મહિના સુધી પોતાની દુકાન પર કામ કરવાની ઓફર વિશાલને આપી હતી. જોકે વિશાલે નટવરલાલ માર મારીને કામ કરાવશે તેવા ડરથી નોકરી કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને બીજી જગ્યાએ નોકરી શોધવા લાગ્યો હતો.
વિશાલને નોકરી નહીં મળતાં તે બેકાર ઘરે બેસી રહ્યો હતો જ્યારે નટવરલાલને આપેલી બે મહિનાની મુદત પણ પૂરી થવા આવી હતી. જેથી તેણે વધુ દોઢ મહિનાની મુદત માગવાની વાત નટવરલાલને કરી હતી. ગઇકાલે ભરતભાઇ અને તેમનાં પત્ની રાજેશ્વરીબહેન શાહીબાગ જવા માટે નીકળ્યા હતાં. વિશાલ ઘરે એકલો હતો. બન્ને જણા શાહીબાગનું કામ પતાવીને ઘરે પરત ફરતા હતા ત્યારે ભરતભાઇએ વિશાલને ફોન કર્યો હતો.
જોકે તેણે ફોન ઉપાડ્યો હતો નહીં. રાત્રે આઠ વાગ્યાની આસપાસ ભરતભાઇ અને રાજશ્વરીબહેન ઘરે પહોંચ્યા ત્યારે વિશાલ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. વિશાલના પેન્ટના ખિસામાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે ગણેશ વાસણ ભંડારવાળા શાંતિલાલ તથા તેમનો દીકરો નટવરલાલ બન્ને જણા પંદર હજાર માટે અવારનવાર હેરાન કરે છે અને તેમના રૂપિયા મુદત પ્રમાણે આપી શક્યો નથી અને બીજી મુદત નહીં આપતાં દેહત્યાગ કરું છું.
ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિશાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી હતી. પોલીસે નટવરલાલ અને તેના પિતા શાંતિલાલ વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.