લગભગ 9000 કરોડ રૂપિયાની દેવાના મામલામાં ભારતથી ભાગી ગયેલા શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના મામલામાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા છે માલ્યાએ કહ્યું કે ''તેઓ ભારત છોડ્યા પહેલા નાણામંત્રીને મળીને આવ્યા હતા.'' માલ્યાએ કહ્યું ''તેઓ સેટલમેન્ટને લઈને નાણામંત્રીને મળ્યા હતા બેંકોએ મારા સેટલમેન્ટને લઈને સવાલ ઉભા કર્યા છે.'' મહત્વનું છે કે લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઈની આર્થર રોડ જેલમાં માલ્યાને રાખવાનો વીડિયો રજૂ કર્યો હતો.
કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણામંત્રી સાથે મુલાકાતને લઈને સવાલ કર્યો તો માલ્યાએ કહ્યું કે તે આ બેઠક વિશે વિસ્તારથી જાણકારી આપી શકે નહીં. ઉલ્લેખનીય છે કે માલ્યા જે સમયે દેશ છોડીને ભાગી ગયા તે સમયે અરૂણ જેટલી નાણામંત્રી હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે કોર્ટમાં દેખાડાયેલો જેલનો વીડિયો જોઈને તે પ્રભાવિત છે. માલ્યાએ કહ્યું કે ''પોતાના બાકી રહેલા નાણાનું સેટલમેન્ટ કરવા માટે તેણે બેંકોને ઘણી વખત પત્ર લખ્યા હતા પરંતુ બેંકોએ તેના પત્રો પર સવાલ ઉઠાવ્યા હતા. ''
ઉલ્લેખનીય છે કે માલ્યાએ કહ્યું હતું કે ભારતીય જેલોની સ્થિતિ ખરાબ છે તેથી તેને ભારતને સોંપવામાં ન આવે. પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ બ્રિટિશ કોર્ટે ભારતીય અધિકારીઓને જેલનો વીડિયો રજૂ કરવા કહ્યું હતું''