ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીના કારણે હાહાકાર મચી ગયો છે. ઓટો સેક્ટરમાં સેલ્સમાં સતત ઘટાડાથી પરેશાન ઓટોમોબાઇલ કંપનીઓએ ડિમાન્ડ વધારવા માટે સરકાર સમક્ષ જીએસટી રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની માગણી કરી છે.
કંપનીઓ ઇચ્છે છે કે સરકાર તેમના માટે જીએસટી રેટ ઘટાડવાની સાથેસાથે વધુ ડેપ્રેસિયેશન બેનિફિટ અને અનુકૂળ સ્ક્રેપેજ પોલિસી પણ લાવે. તેમણે સરકારને બીએસ-૬ નોર્મ્સ લાગુ કરાયા બાદ બીએસ-૫ નોર્મ્સ પર કસોટીમાંથી ખરી ઊતરનાર ગાડીઓના વેચાણ માટે મંજૂરી આપવાની પણ માગણી કરી છે.
ઓટો કંપનીઓની મુશ્કેલી જાણવા માટે નાણાપ્રધાન સીતારમન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ઓટો ઇન્ડસ્ટ્રીએ સરકાર સમક્ષ રાહત પેકેજ આપવાની માગણી કરી છે અને જીએસટીમાં ૧૦ ટકા જેટલો ઘટાડો કરવા પણ માગણી કરી છે. સેલ્સને વધારવા ઇન્ડસ્ટ્રીને સરળતાથી ફાઇનાન્સ પણ ઉપલબ્ધ કરાવવા માટે માગણી કરી છે. વાહનોનું ઉત્પાદન જુલાઇમાં ૩૧ ટકા ઘટીને બે લાખ યુનિટ પર આવી ગયું છે.
ઓટોમોબાઇલ કંપનીઓએ સરકારના ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી હાવી હોવાથી મારુતિ સુઝીકી ઇન્ડિયાએ વિહિકલ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી સુસ્તીને લઇને જુલાઇ મહિનામાં ઉત્પાદનમાં ૨૫.૧૫ ટકાનો પણ કાપ મૂક્યો છે. મારુતિએ સતત છઠ્ઠા મહિને પણ ઉત્પાદન ઘટાડ્યું છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મુંબઇ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે જુલાઇ-૨૦૧૯માં તેમના દ્વારા ૧,૩૩,૬૨૫ વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ અગાઉ એક વર્ષ પહેલાં આ જ મહિનામાં કંપનીએ ૧,૭૮,૫૩૩ વાહનોનું ઉત્પાદન કર્યું હતું. ગયા મહિને કંપનીએ ૧,૩૦,૫૪૧ પેસેન્જર વિહિકલનું ઉત્પાદન કર્યું હતું.