સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન પી.સી. મોદીએ સ્પષ્ટતા કરી છે કે કરદાતાને દર વર્ષે ઇન્કમટેક્સની નવી કે જૂની સિસ્ટમ પસંદ કરવાનો વિકલ્પ મળશે. તેમણે જણાવ્યું હતું કે કરદાતા દર વર્ષે ઓછા રેટ અને કોઇ પણ જાતની કરમુક્તિ વગરની ઇન્કમટેક્સની નવી વ્યવસ્થા અથવા કર રાહતો અને મુક્તીવાળી જૂની સિસ્ટમ બેમાંથી એકની પસંદગી કરી શકશે.
કરદાતા દર વર્ષે ઈન્કમટેક્સની સિસ્ટમ બદલી શકશે
બિઝનેસ કરતા વેપારીઓને ઓપ્શન બદલવા પર પ્રતિબંધ
બિઝનેસ કરતા વેપારીઓને નહીં મળે ટેક્સની આ સ્કીનનો લાભ
તેમણે સ્પષ્ટતા કરી છે કે એક વાર કોઇ સ્કીમની પસંદગી કર્યા બાદ તેના પછીના વર્ષે સ્કીમ બદલવાનો વિકલ્પ રહેશે, જોકે બિઝનેસ ચલાવતા વેપારીઓને એકથી બીજી સ્કીમમાં શિફ્ટ થઇને પરત આવવાનો વિકલ્પ મળશે નહીં.
આ ઓપ્શનલ સ્કીમ છે
મોદીએ જણાવ્યું છે કે એક વાત સમજી લો કે આ ઓપ્શનલ સ્કીમ છે. નવી સ્કીમમાં જવા માટેની કોઇ મજબૂરી નથી. જો તમને નવી સ્કીમ સારી લાગે તો તમે તેમાં જઇ શકો છો અને જૂની સિસ્ટમ તમને વધુ ફાયદાકારક લાગે તો તમે તેમાં રહી શકો છો. એકથી બીજી સ્કીમમાં આવવા-જવાનો વિકલ્પ કરદાતાઓને વાર્ષિક આધારે ઉપલબ્ધ બનશે, પરંતુ એક વખત સ્કીમ પસંદ કર્યા બાદ તે બદલી શકાશે નહીં તેવો પ્રતિબંધ માત્ર બિઝનેસ કરતાં વેપારીઓ માટે રહેશે.