બનાસકાંઠામાં અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માતમાં 21 લોકો કાળનો કોળિયો બની ગયા. મરનાર તમામ લોકો આણંદના ખડોલ અને આસપાસના ગામડાઓના હતા. 21 લોકોના મોતના સમાચાર આવતા સ્વભાવિક છે કે મૃતકોના પરિજનોમાં ઘેરો શોક વ્યાપી ગયો હોય. આ અકસ્માતના સમાચાર મળતા જ પરિજનો આઘાતમાં હતા. ત્યારે આજે તેમની અંતિમ યાત્રા દરમિયાન આખા ગામ જોડાયા હતા.
જેમાં એક જ ગામ ખડોલના 6 લોકોના મોત નિપજ્યાં હતા. આ ગામમાં મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં સમગ્ર ગામ જોડાયું હતું અને તમામની આંખમાં આંસુ હતા.
મોટાભાગના મુસાફરો આણંદ જિલ્લાના હતા
આણંદના ખડોલ ગામથી બસ યાત્રાએ ગઈ હતી. જેમને અંબાજી નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 21 મુસાફરોના મોત થયા હતા. મૃતકો પૈકી મોટાભાગના મુસાફરો આણંદ જિલ્લાના હતા. ખડોલ, પામોલ, અંબાવ, સુંદણ ગામના મુસાફરો હતા. અકસ્માત દાંતાના ત્રિસૂલીયા ઘાટ નજીક થયો હતો. બસમાં 60થી વધુ યાત્રાળુઓ અંબાજી ગયા હતા. બસમાં 15 જેટલા બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા. મૃતકો પૈકી 14 પુરૂષો, 3 મહિલા, 4 બાળકનો સમાવેશ થાય છે. દાંતાના ત્રિસૂલીયા ઘાટ નજીક અકસ્માત થયો હતો.
એક જ ગામ ખડોલના 6 લોકોના નિપજ્યા મોત
અંબાજીમાં અકસ્માતમાં આણંદના ખડોલ ગામના 6 લોકોના મોત નિપજ્યા છે. જેને લઇ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તો સાંસદ મિતેશ પટેલે પણ મુતકોના પરિવારજનોની મુલાકાત લઇ તેમને સાંત્વના પાઠવી હતી. ખડોલ ગામના 6 મૃતદેહો, પામોલના બે મૃતદેહો, દાવોલના બે મૃતદેહો અને કસુંબાડના એક મૃતદેહને ગામમાં લાવવામાં આવતા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ભારે હૈયે મૃતકોના અંતિમ સંસ્કાર
ખડોલ, પામોલ, દાવોલ અને કસુંબાડ ગામમાં સ્મશાનયાત્રા નીકળી હતી. મૃતકોની સ્મશાનયાત્રામાં આખા ગામ જોડાયા હતા. પરિવારજનો અને ગામલોકોએ ભારે હૈયે ગમગીની વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા હતા. આખા ગામની આંખમાં આંસૂ હતા. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે અકસ્માત મામલે ખાનગી બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરાયો છે. બસના ડ્રાઇવર સામે IPC 304 મુજબ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે. દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઇવરની ભૂલના કારણે લોકોના જીવ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
કેવી રીતે સર્જાયો હતો અકસ્માત ?
અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસને સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. ઓવર સ્પીડને કારણે લકઝરી બસના ચાલકે બ્રેક મારતા જ ડ્રાઈવર સાઈડ પાછળનુ ટાયર ઊંચું થઈ જતાં પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે.