પૂર્વ બ્યૂરોક્રેટ્સે સુપ્રીમ કોર્ટને ઓપન લેટર લખ્યો હતો
ગુજરાત સરકાર રેપ કેસના આરોપીને સજામુક્ત કરી દીધા
ગેંગરેપ પીડિતા બિલકિસ બાનોના દોષિતોને સજામુક્ત કરવાનો મામલો શાંત પડતો દેખાતો નથી. દેશભરમાંથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે 134 પૂર્વ બ્યૂરોક્રેટ્સે એક ઓપન લેટર લખીને દોષિતોને સજામુક્ત કરવાના નિર્ણયને ફરીથી સુધારવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ આગ્રહ કર્યો છે.
બિલકિસ બાનો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કાર પીડિતા છે. બિલકિસ બાનો સાથે જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો હતો. તે સમયે તેની ઉંમર 21 વર્ષ હતી અને પાંચ મહિનાની તે ગર્ભવતી હતી. દોષિતોએ તેમની 3 વર્ષની બાળકી સહિત પરિવારના સાત લોકોની હત્યા કરી દીધી હતી. બિલકિસ બાનોની માતા સાથે પણ રેપ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 2008માં 11 દોષિતોને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે આ ચુકાદાને યથાવત રાખ્યો હતો.
આવી રીતે થયા દોષિતો સજામુક્ત
15 વર્ષની સજા કાપી ચુકેલા એક દોષિ રાધેશ્યામ શાહે સમય પહેલા સજામુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી આજીજી કરી હતી. વડી અદાલતે રાધેશ્યામની અરજી પર નિર્દેશ આપ્યો કે, ગુજરાત સરકાર દ્વારા સમય કરતા પહેલા મુક્તની અરજી પર 9 જૂલાઈ 1995ની માફી નીતિ અંતર્ગત બે મહિનાની અંદર વિચાર કરવામાં આવે. ત્યાર બાદ 15 ઓગસ્ટના રોજ દોષિતોને સજામુક્ત કરવામાં આવ્યા. બિલકિસ બાનોના દોષિતોને સજામુક્ત થવા પર સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. ત્યારથી આ મામલે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારની ટિકા થઈ રહી છે.