સરકારે 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બુલેટ ટ્રેન 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ્સમાં કામગીરીની ઝડપ વધારી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની સમયમર્યાદા વહેલી નવેમ્બર 2018 કરવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના નિર્ધારિત કરવા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક માટે ભાજપના ગુજરાત ખાતેના વરિષ્ઠ નેતાઓએ સંસ્થાના વડા સાથે વ્યાપક મીટિંગ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) વ્યક્તિગત રીતે ગુજરાતમાં મહત્ત્વના પ્રોજેક્ટ્સના અમલની પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો વધીને 77 સુધી પહોંચી હતી.
લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન માટે કેન્દ્ર સરકારની નજર હેઠળ રાજ્ય સરકાર અને પક્ષ વહીવટમાં સુધારો કરવા મતદાતાના પ્રશ્નોને ઉકેલવા તેમજ ચૂંટણી પહેલાં મોટા પ્રોજેક્ટ્સને પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ગુજરાતના ચીફ સેક્રેટરી જે એન સિંઘે ETને જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ગુજરાતનાં જે 194 ગામને અસર થવાની છે તેનું સામાજિક મૂલ્યાંકન પૂરું થયું છે.
બુલેટ ટ્રેનની કુલ લંબાઈ 508 કિલોમીટર છે જે ગુજરાતના 349 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થાય છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર પ્રોજેક્ટ માટેનું જમીન સંપાદન આગામી નવેમ્બર સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આ અગાઉ જમીન સંપાદનની પ્રક્રિયા 2019ના પ્રારંભે પૂરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે અમે પ્રક્રિયા શક્ય એટલી ઝડપથી પૂરી કરવા માંગીએ છીએ અને એટલે અમે જમીન સંપાદનની મુદત વહેલી કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે ગયા સપ્તાહે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહેલી જમીન અંગે વાંધો લીધો હતો.
તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખી દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. પટેલે કહ્યું હતું કે ખેડૂતોના બંધારણીય હકો પર તરાપ મારવામાં આવી રહી છે.
તેમની પાસેથી જમીન ગુજરાત સરકારના સુધારેલા વર્ઝન દ્વારા નહીં પણ લેન્ડ એક્વિઝિશન રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટ એક્ટ 2013 હેઠળ ખરીદવામાં આવવી જોઈએ. વડાપ્રધાન મોદીના અન્ય માનીતા પ્રોજેક્ટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'માં ઝડપ આવશે એવા સંકેત છે.
મોદી સરદાર પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરના રોજ તેમના 182 મીટર ઊંચા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરશે. સરદાર સરોવર ડેમથી 3.32 કિલોમીટર દૂર નર્મદા નદી પર બનેલી અને કેવડિયા કોલોની ખાતે સ્થિત સરદારની આ મહાકાય પ્રતિમા ઉપરાંત કેવડિયાથી વડોદરા સુધીનો રસ્તો ચાર લેનનો કરવામાં આવ્યો છે.
વધુમાં બંને સ્થળ વચ્ચે બ્રોડગેજ રેલવે નેટવર્ક પણ તૈયાર છે. પર્યટકો માટે આગામી બે વર્ષમાં ડેમ પર 100 મીટરની ઊંચાઈએ રોપ-વે તૈયાર કરાશે.
સિંઘે જણાવ્યું હતું કે 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુનું અનાવરણ કરશે ત્યાં સુધીમાં આદિવાસી મ્યુઝિયમ સરદાર પટેલ સાથે સંકળાયેલી ચીજો વોટર બોડી અને એમ્ફિયન બસ તૈયાર હશે. સિંઘે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના બે સ્ટ્રેચનું સિવિલ વર્ક ચાલુ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂરું થશે.
વસ્ત્રાલથી એપેરલ પાર્ક અને વિશાલા ખાતેના સ્ટ્રેચની ટ્રાયલ રન જાન્યુઆરીથી શરૂ થશે. સરકાર ધોલેરા એરપોર્ટ અને ઉત્તર ગુજરાતમાં જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સહિતના અન્ય પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ ઉપરાંત 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સામાન્ય કરતાં અલગ તારીખોએ યોજાશે. કુંભમેળાને ધ્યાનમાં રાખીને આ વખતે વાઇબ્રન્ટ સમિટ 18 જાન્યુઆરીએ શરૂ થશે.